રવિવારે સેન્ટ્રલ રેલવેમાં ઉંબરમાળી અને આટગાવ સ્ટેશન વચ્ચે ૧૫ કલાકનો બ્લૉક
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વેસ્ટર્ન લાઇનમાં જોગેશ્વરી અને રામ મંદિર સ્ટેશન વચ્ચે મેટ્રો 6નો ગર્ડર બેસાડવાનો હોવાથી ૧૦ કલાકનો મેજર બ્લૉક રાખવામાં આવ્યો છે. છઠ્ઠી લાઇન પર એ માટે શનિવારે રાતના ૧૦.૧૫ વાગ્યાથી રવિવારે સવારના ૮.૧૫ વાગ્યા સુધીનો બ્લૉક રહેશે. એથી છઠ્ઠી લાઇન પર દોડનારી ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પરથી દોડશે. આ જ કામ માટે શનિવારે મધરાત બાદ ૧.૪૫ વાગ્યાથી રવિવારે સવારના ૪.૪૫ વાગ્યા દરમ્યાન બધી જ લાઇન પર બ્લૉક રહેશે. એથી પ્રવાસીઓને તેમની ટ્રેનનો સમય જાણીને, ચેક કરીને પ્રવાસ કરવાની સૂચના આપવામાં આવી છે.
રેગ્યુલર મેઇન્ટેનન્સ માટે સેન્ટ્રલ રેલવે દ્વારા મેઇન લાઇન પર રવિવારે ઉંબરમાળી અને આટગાવ સ્ટેશન વચ્ચે ૧૫ કલાકનો સ્પેશ્યલ ટ્રાફિક અને પાવર બ્લૉક રાખવામાં આવ્યો છે. શનિવારે બપોરે ૧૨ વાગ્યાથી રવિવારે મધરાત બાદ ૩ વાગ્યા સુધી આ બ્લૉક રહેશે. એની અસર લોકલ અને બહારગામની ટ્રેનો પર પડશે.
ADVERTISEMENT
હાર્બર લાઇનમાં રવિવારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી વાશી, બેલાપુર, પનવેલ અને બાંદરા-ગોરેગામ વચ્ચે સવારના ૧૧ વાગ્યાથી સાંજના ૪.૪૫ વાગ્યા દરમ્યાન ટ્રેનો નહીં દોડે. જોકે પ્રવાસીઓને અગવડ ન પડે એ માટે કુર્લાથી પનવેલ વચ્ચે કેટલીક સ્પેશ્યલ ટ્રેન-સર્વિસ દોડાવવામાં આવશે.
