ગુજરાતમાં આજે થશે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી: અમિત શાહ આવવાના છે, પણ વડા પ્રધાન વિશે સ્પષ્ટતા નથી
નરેન્દ્ર મોદી, અમિત શાહ
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા અમદાવાદ આવશે કે કેમ એ વિશે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. તેઓ મતદાન કરવા આવશે કે નહીં એ વિશે ગઈ કાલે રાત સુધી કોઈ જાહેરાત થઈ નહોતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મતદાન કરવા આવવાના છે.
નરેન્દ્ર મોદી ચૂંટણીમાં મતદાન કરવા અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવે છે. તેઓ વર્ષોથી મતદાન કરતા આવ્યા છે, પણ આજે મતદાન કરવા અમદાવાદ આવશે કે નહીં એની ગઈ કાલે રાત સુધી કોઈ માહિતી જાહેર થઈ નહોતી. નરેન્દ્ર મોદી મત આપવા આવશે કે કેમ એ વિશે અસ્પષ્ટતા બની છે અને કંઈ સ્પષ્ટ કરાયું નથી. કદાચ બની શકે કે પશ્ચિમ બંગાળની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ૨૯ એપ્રિલે થવાનું છે એટલે કદાચ નરેન્દ્ર મોદી ત્યાં પ્રચારમાં વ્યસ્ત હોઈ શકે છે. કદાચ નરેન્દ્ર મોદી ઈ-વોટિંગથી પણ મતદાન કરી શકે છે, પરંતુ મતદાન વિશે અસ્પષ્ટતા છે અને કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.
ADVERTISEMENT
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરવા માટે ગાંધીનગર લોકસભા બેઠકના સંસદસભ્ય અને કેન્દ્રીય ગૃહપ્રધાન તેમ જ સહકારપ્રધાન અમિત શાહ આજે સવારે ૧૧ વાગ્યે નારણપુરા વિસ્તારમાં સબઝોનલ ઑફિસ ખાતે મતદાન કરવા આવશે.
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન
ગુજરાતમાં આજે અમદાવાદ સહિત ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા-પંચાયતો અને ૨૬૦ તાલુકા-પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમ જ ૧૧ નગરપાલિકાઓની પ્રસંગોપાત્ત ખાલી પડેલી ૧૩ બેઠકોની પેટાચૂંટણીઓ માટે મતદાન થશે. મહાનગરપાલિકાઓમાં ૧,૧૦,૩૯,૪૭૩ મતદારો, ૮૪ નગરપાલિકાઓમાં ૩૩,૬૬,૩૩૩ મતદારો અને ૩૪ જિલ્લા તેમ જ ૨૬૦ તાલુકા-પંચાયતોમાં ૨,૭૪,૮૫,૯૪૫ મતદારો મતદાન કરી શકે છે.
