Health Funda: રસોઈના તેલમાં કાપ મૂકવા વિશે વડાપ્રધાન મોદીજીએ આપેલી સલાહ માત્ર દેશના અર્થતંત્ર પૂરતી મર્યાદિત નથી, પણ આપણા રોજિંદા જીવન અને સ્વાસ્થ્ય સાથે સીધી જોડાયેલી છે, કઈ રીતે? તે સમજાવે છે ડૉ. રિશિતા બોચિયા જોષી
તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા
સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.
આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી વાત કરે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ રસોઈમાં તેલનો વપરાશ ઓછો કરવાનું કહ્યું હતું તે વાત આપણા સ્વાસ્થ્ય સાથે કઈ રીતે સંબંધિત છે?
ADVERTISEMENT
રસોઈના તેલમાં કાપ મૂકવા વિશે વડાપ્રધાન મોદીજીએ આપેલી સલાહ માત્ર દેશના અર્થતંત્ર પૂરતી મર્યાદિત નથી, પણ આપણા રોજિંદા જીવન અને સ્વાસ્થ્ય સાથે સીધી જોડાયેલી છે.
જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ આપણને સૌને રોજિંદા ભોજનમાં તેલનો વપરાશ થોડો ઓછો કરવાની અપીલ કરી, ત્યારે ઘણા લોકો માટે આ માત્ર એક સરકારી સલાહ નહોતી, પણ એક સામાજિક જવાબદારીની શરૂઆત હતી. આ એક એવું નાનું પણ મક્કમ પગલું છે જે આપણા ઘરના રસોડાની દીવાલોમાંથી બહાર નીકળીને સીધું જ દેશના અર્થતંત્રને એક સકારાત્મક ગતિ આપી શકે છે.
પરંતુ આર્થિક બાબતોથી પર થઈને જોઈએ તો, પીએમ મોદીની આ વાત આપણા રોજિંદા જીવન અને સ્વાસ્થ્ય સાથે સીધી જોડાયેલી છે, જે તેલ સાથેના આપણા સંબંધો વિશે એક નવી જ ચર્ચા છેડે છે!
વર્ષોથી આપણી પરંપરાગત રસોઈમાં તેલ એક એવો અદ્રશ્ય વધારો બની ગયું છે જેના તરફ આપણું ધ્યાન જ નથી જતું. સવારના તળેલા નાસ્તાથી લઈને શાક-દાળમાં તેલના ભારે વઘાર સુધી, અને તહેવારોની મિજબાનીઓથી લઈને તેલમાં તરતા રોજિંદા શાક સુધી, આપણે ક્યારે આટલું બધું તેલ ખાઈ લઈએ છીએ તેનો અંદાજ જ નથી રહેતો. આટલું ઓછું હોય તેમ, આજકાલ બજારમાં મળતા પ્રોસેસ્ડ ફૂડ, આઈસ્ક્રીમ કે પછી કેક જેવી વસ્તુઓ પણ અત્યંત પ્રોસેસ્ડ એવા વેજીટેબલ ફેટ્સથી ભરપૂર હોય છે, જે અજાણતા જ આપણી પ્લેટમાં ચરબીનું પ્રમાણ વધારી દે છે.
આ બધી બાબતો આખરે વજન વધારવા, કોલેસ્ટ્રોલનું સ્તર ઊંચું લાવવા, શરીરમાં બળતરા (ઇન્ફ્લેમેશન) પેદા કરવા અને હૃદયરોગનું જોખમ વધારવાનું કામ કરે છે. ભારત જેવા દેશમાં, જ્યાં લોકો પહેલેથી જ ડાયાબિટીસ, હૃદયની બીમારીઓ અને હોર્મોનલ અસંતુલન જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે, ત્યાં આ બાબત ખરેખર એક ગંભીર ચિંતાનો વિષય બની જાય છે.
ત્યારે, આપણે એ સમજવાની જરૂર છે કે ફેટ કે તેલની પસંદગી અને તે આપણા શરીર માટે કેટલા જરૂરી છે - જેમ કે હોર્મોન્સને સંતુલિત રાખવા, વિટામિન્સના શોષણ માટે અને કોષોના સ્વાસ્થ્ય (Cell Health) માટે તેલ જરૂરી છે; પરંતુ સૌથી મહત્વની બાબત તેની માત્રા (Quantity) છે. આપણે કેટલા પ્રમાણમાં તેનો વપરાશ કરીએ છીએ, તે જ મુખ્ય બાબત છે.
વાત તેલો ત્યાગ કરવાનો કે તેનો વપરાશ સંપૂર્ણપણે બંધ કરવાનો નથી, પરંતુ તેનો સમજદારીપૂર્વક અને મર્યાદિત ઉપયોગ કરવાનો છે.
તો સંતુલન કેવી રીતે જાળવવું?
એક ખૂબ જ સરળ આદતથી શરૂઆત કરી શકાય - રસોઈમાં તેલ સીધું જ ડબ્બામાંથી રેડવાને બદલે તેને ચમચીથી માપીને નાખવાની ટેવ મોટો તફાવત લાવી શકે છે. આરોગ્ય નિષ્ણાતો વ્યક્તિની ઉંમર અને તેની શારીરિક સક્રિયતાના આધારે, દરરોજ વ્યક્તિદીઠ આશરે ૩ થી ૪ નાની ચમચી જેટલું જ તેલ વાપરવાની સલાહ આપે છે.
બીજું પગલું છે રસોઈ બનાવવાની પદ્ધતિઓ વિશે ફરીથી વિચારવાનું. આપણી પરંપરાગત ભારતીય રસોઈ પદ્ધતિઓમાં વાસ્તવમાં ઓછા તેલનો ઉપયોગ થાય તેવી ઘણી રીતો છુપાયેલી છે - જેમ કે બાફવું (સ્ટીમિંગ), શેકવું (રોસ્ટિંગ), ગ્રીલ કરવું, સાંતળવું (સૌતે) અને પ્રેશર કુકિંગ. સ્વાદિષ્ટ દાળ કે શાક બનાવવા માટે તેલના ડબ્બા ખાલી કરવાની જરૂર નથી હોતી; તેમાં માત્ર મસાલાના સાચા સમન્વય અને રાંધવાની યોગ્ય કળાની જરૂર હોય છે.
બધા જ પ્રકારની રસોઈ માટે માત્ર એક જ રિફાઈન્ડ તેલ પર નિર્ભર રહેવાને બદલે સિંગતેલ (મગફળીનું તેલ), સરસવનું તેલ અને તલના તેલ જેવા સ્થાનિક, કોલ્ડ-પ્રેસ્ડ એટલે કે કાચ્ચી ઘાણીના તેલનો વારાફરતી ઉપયોગ કરવો જોઈએ. આ રીતે તેલ બદલતા રહેવાથી શરીરને જરૂરી એવા ફેટી એસિડ્સનું વધુ સારું પ્રમાણ મળી રહે છે.
આ ઉપરાંત, હૃદયના સ્વાસ્થ્યને મજબૂત કરવા અને શરીરમાં કોલેસ્ટ્રોલનું સંતુલન જાળવી રાખવા માટે આહારમાં બદામ, અખરોટ અને વિવિધ બીજ (નટ્સ અને સીડ્સ)માંથી મળતા કુદરતી અને ગુણકારી ફેટ્સનો સમાવેશ કરવો એ પણ એક ઉત્તમ અને સમજદારીભરી પસંદગી છે.
એક તરફ, રસોઈમાં તેલનો ઓછો વપરાશ આયાત પરની આપણી નિર્ભરતા ઘટાડીને દેશની આર્થિક સ્થિરતાને મજબૂત કરે છે, તો બીજી તરફ, પરિવારો અને આપણી હેલ્થકેર સિસ્ટમ બંને પરથી આર્થિક અને શારીરિક બોજને પણ હળવો કરે છે.
એક વ્યક્તિ તરીકે, આપણે ઘણીવાર સ્વાસ્થ્ય સંબંધિત પડકારો માટે કોઈ મોટા કે અઘરા ઉકેલો શોધતા હોઈએ છીએ. પણ વાસ્તવિકતા એ છે કે, ક્યારેક આ પરિવર્તનની શરૂઆત માત્ર આપણા કડાઈમાં એક ચમચી તેલ ઓછું નાખવા જેવી નાની અને સરળ આદતથી જ થઈ જતી હોય છે.
કારણ કે જ્યારે દેશના કરોડો પરિવારોમાં આવા નાના અને હકારાત્મક નિર્ણયો સળંગ લેવાય છે, ત્યારે તે માત્ર કોઈ એક વ્યક્તિના સ્વાસ્થ્યને જ નથી સુધારતા - પણ તે આખા રાષ્ટ્રના સ્વાસ્થ્યને એક નવું અને સુંદર સ્વરૂપ આપે છે.
(શબ્દાંકનઃ રચના જોષી)
