નૈતિકનું અચાનક મૃત્યુ થવાને કારણે કાયદાકીય રીતે તેનું પોસ્ટમૉર્ટમ કરવાનું છે
નૈતિક અતુલ ગાલા
કાંદિવલી-વેસ્ટની ઈરાનીવાડીમાં રહેતા ૨૦ વર્ષના નૈતિક અતુલ ગાલાનો ડાયાબિટીઝ ઘટી જવાથી લંડનમાં ૧૭ ઑક્ટોબરે રાતે મૃત્યુ થયું હતું. નૈતિકના અચાનક અવસાનથી ગાલા પરિવાર, મુંબઈનો કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી સમાજ અને નૈતિકના મુંબઈના મિત્રો હચમચી ગયા છે. નૈતિક પાંચ ફિઝિયો થેરપીનો અભ્યાસ કરવા લંડન ગયો હતો. નૈતિકના પપ્પા અતુલ ગાલાએ ધ્રુસકે-ધ્રુસકે રડતાં નૈતિકના મૃત્યુ વિશે કહ્યું હતું કે ‘અમારો એકનો એક દીકરો તેના મિત્રો સાથે લંડનમાં રાતે જમવા ગયો હોત તો કદાચ તેનું શુગર લેવલ ઘટ્યું ન હોત અને અમે અમારા દીકરાને ગુમાવ્યો ન હોત. નૈતિક ટૂંક સમયમાં પુણેમાં ઇન્ટર્નશિપ કરવા આવવાનો હતો. ત્યારે તેને તેની મમ્મીના હાથનાં મિસળ-પાંઉ અને પાંઉભાજી ખાવાની બહુ જ ઇચ્છા હતી. તેણે કહ્યું હતું કે હું મમ્મીના હાથની રસોઈ મિસ કરું છું. અમે નૈતિકના મિત્રોને મિસળ-પાંઉ અને પાંઉભાજી ખવડાવીને તેની અંતિમ ઇચ્છા પૂરી કરીશું.’