IIT-બૉમ્બેમાં એક વર્ષમાં ચોથું સુસાઇડ : BTechના વિદ્યાર્થી સામે પરીક્ષામાં ગેરરીતિ બદલ કાર્યવાહી કરવાની વાત થઈ હોવાની પ્રાથમિક માહિતી, ઘટનાને પગલે વિદ્યાર્થીઓએ વહીવટી તંત્ર પાસે જવાબ માગ્યા
ગઈ કાલે કૅમ્પસમાં વિરોધ કરતા વિદ્યાર્થીઓ
પવઈમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-બૉમ્બેમાં શુક્રવારે બૅચલર ઑફ ટેક્નૉલૉજી (BTech)ના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં કૅમ્પસમાં તનાવનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ વિદ્યાર્થીને પરીક્ષા દરમ્યાન કથિત રીતે ચોરી કરતાં પકડવામાં આવ્યો હતો અને તેની સામે ગેરરીતિ બદલ કાર્યવાહી થઈ શકે એમ તેને શિક્ષકોએ જણાવ્યું હતું. ત્યાર બાદ વિદ્યાર્થી હૉસ્ટેલમાં પાછો ગયો હતો અને સાંજે તેણે આત્મઘાતી પગલું ભરી લીધું હતું.
વિદ્યાર્થીના મોતના સમાચાર ફેલાતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કૅમ્પસમાં એકઠા થયા હતા અને વિરોધ-પ્રદર્શન શરૂ કર્યું હતું. વિદ્યાર્થીઓએ IIT-બૉમ્બેના વહીવટી તંત્ર સામે સૂત્રોચ્ચાર કરી ઘટનાને લઈને જવાબ માગ્યા હતા.
ADVERTISEMENT
દરમ્યાન પોલીસ અને IIT-બૉમ્બેના સત્તાવાળાઓએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીના મોતની ચોક્કસ પરિસ્થિતિ હજી સ્પષ્ટ થઈ નથી. પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિ અને વિદ્યાર્થીના મોત વચ્ચે કોઈ સીધો સંબંધ હતો કે કેમ એ પણ હજી કંઈ સ્પષ્ટ થયું નથી. હાલ આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
