Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > રાજા ભોજે સ્થાપેલી ભોજશાલાને ન્યાય મળતાં ૧૦૦૦ વર્ષ લાગ્યાં

રાજા ભોજે સ્થાપેલી ભોજશાલાને ન્યાય મળતાં ૧૦૦૦ વર્ષ લાગ્યાં

Published : 07 June, 2026 02:00 PM | Modified : 07 June, 2026 03:13 PM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

વર્ષો વીત્યાં એમ-એમ ભારતનાં બીજાં અનેક મંદિરોની જેમ મોગલ હુમલાખોરોએ ભોજશાલા પર પણ અનેક વાર હુમલાઓ કર્યા, એને તોડી નાખવાનો પ્રયત્ન કર્યો અને આ બધી ઘૃણાસ્પદ પ્રવૃત્તિઓથી પણ સંતોષ ન થતાં મુસ્લિમોએ ભોજશાલાને પણ મસ્જિદમાં પરિવર્તિત કરવાનો પ્રયત્ન કર્યો.

હાઈ કોર્ટે ધારની ભોજશાલામાં પહેલાં મંદિર હતું એ સ્વીકાર્યા પછી ભક્તોએ ભોજશાલા પરિસરમાં હવન અને સરસ્વતીદેવીની પૂજા કરી હતી.

હાઈ કોર્ટે ધારની ભોજશાલામાં પહેલાં મંદિર હતું એ સ્વીકાર્યા પછી ભક્તોએ ભોજશાલા પરિસરમાં હવન અને સરસ્વતીદેવીની પૂજા કરી હતી.


જે સંસ્કૃત પાઠશાળામાં મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભાસ્કર ભટ્ટ, માનતુંગાચાર્ય અને બાણભટ્ટ જેવા મહાનુભાવોએ અભ્યાસ કર્યો એ પરિસરમાં સરસ્વતીદેવીની સ્થાપના માટે સેંકડો વર્ષોનો સંઘર્ષ થયો છે. આ ઇતિહાસની પીડા જાણીશું તો કદાચ આજે હિન્દુઓ મધ્ય પ્રદેશના ધારની ભોજશાલામાં હરખપદૂડા થઈને કેમ મા વાગ્દેવીની પૂજા કરવા જાય છે એ બહુ સારી રીતે સમજાઈ જશે

હમણાં થોડા સમય પહેલાં મધ્ય પ્રદેશની ભોજશાલા જબરદસ્ત ચર્ચામાં હતી. રામ મંદિર અને જ્ઞાનવાપીની જેમ ભોજશાલાનો વિવાદ પણ કોર્ટના દરવાજા સુધી પહોંચ્યો અને આખરે હિન્દુ પક્ષની જીત થઈ. જોકે આ વિવાદ એટલો જૂનો છે કે આજે અનેકોને એ ખબર નથી કે ભોજશાલામાં વિવાદ શું હતો.



ભારતનું હૃદય ગણાતા રાજ્ય મધ્ય પ્રદેશમાં આવેલી ભોજશાલા જ્યાં છે એ ધાર ક્ષેત્રના માલવી વંશના રાજવી ભોજના સામ્રાજ્યની રાજધાની હતી. તેમણે પોતાના શાસનકાળ દરમ્યાન એક અત્યંત શુભ વિચાર અમલમાં મૂક્યો. તેમણે નિર્ધાર્યું કે ધારમાં એક વિશ્વસ્તરીય વિશ્વવિદ્યાલય બનાવવું જોઈએ. આ આશયનું પરિપૂર્ણ સ્વરૂપ એટલે ધારમાં આવેલી ભોજશાલા.


વર્ષો વીત્યાં એમ-એમ ભારતનાં બીજાં અનેક મંદિરોની જેમ મોગલ હુમલાખોરોએ ભોજશાલા પર પણ અનેક વાર હુમલાઓ કર્યા, એને તોડી નાખવાનો પ્રયત્ન કર્યો અને આ બધી ઘૃણાસ્પદ પ્રવૃત્તિઓથી પણ સંતોષ ન થતાં મુસ્લિમોએ ભોજશાલાને પણ મસ્જિદમાં પરિવર્તિત કરવાનો પ્રયત્ન કર્યો. એને કારણે હવે મુસ્લિમ પક્ષ ભોજશાલાને એમની મૌલા મસ્જિદ હોવાનું કહે છે અને હિન્દુ પક્ષ એને પોતાના સ્વર્ણિમ ઇતિહાસની નિશાની ‘ભોજશાલા’ ગણાવે છે જ્યારે વાસ્તવમાં અહીં મંદિર હોવાના અનેક પુરાવા હજી આજે પણ છે. જેમ કે અહીંના સ્તંભો પર સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં અંકિત થયેલા અનેક શ્લોકો, સ્તુતિઓ અને સ્તોત્ર આજે પણ વિદ્યમાન છે. એ સિવાય ભોજશાલા જ્ઞાનપ્રાપ્તિનું સ્થળ હોવાને કારણે એ સમયે કોતરાયેલી માતા સરસ્વતી અને તેમની સાથે અનેક બીજાં દેવી-દેવતાઓની મૂરત પણ મંદિરની વાસ્તુકલામાં મળી આવે છે. એટલું જ નહીં, એ આખા બાંધકામની વાસ્તુકલા અને શૈલી પણ પરમાર સામ્રાજ્યના સમયની હોવાના અનેક પુરાતાત્ત્વિક પુરાવાઓ છે.

ક્યારે બની?


ભોજશાલાની સ્થાપના તત્કાલીન રાજવી રાજા ભોજે ૧૦૩૪ની સાલમાં કરાવી હતી. આ વિદ્યાલય એક સંસ્કૃત વિશ્વવિદ્યાલય હોવાથી એની સ્થાપના બાદ પાંચ વર્ષ એટલે કે ૧૦૩૫થી ૧૦૪૦ની સાલ સુધી પ્રકાંડ પંડિત બ્રાહ્મણો દ્વારા અનેક યજ્ઞો કરવામાં આવ્યા જેથી આખી વાસ્તુકલા અને એની આસપાસનો વિસ્તાર પવિત્ર બને અને ત્યાં દેવી સરસ્વતીનો વાસ રહે. પાંચ વર્ષ સુધી ચાલેલા એ યજ્ઞો બાદ રાજા ભોજે એમાં માતા વાગ્દેવીની એક ભવ્ય પ્રતિમાની સ્થાપના કરાવી. આવાં શુભમંગલ કાર્યો અને ઉદ્દેશ સાથે શરૂ થયેલી એ ભોજશાલામાં ભારતના અનેક વિદ્યાપ્રેમી અને જ્ઞાનવાંછુક વિદ્યાર્થીઓએ સંસ્કૃત, સાહિત્ય અને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો. એમાંના અનેકને આપણે આજે પણ ભારતના મહાન વિદ્વાન તરીકે યાદ કરીએ છીએ. ભારતમાં જ નહીં, વિશ્વઆખામાં જ્ઞાનનો સમુદ્ર વહેતો કરનારા કેટલાક ભોજશાલાના અભ્યાસી નામો ગણાવીએ તો મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભાસ્કર ભટ્ટ, ધનપાલ, માનતુંગાચાર્ય, બાણભટ્ટ જેવા નતમસ્તક થઈને ઉચ્ચારવાયોગ્ય નામ છે.

લંડનથી વાગ્દેવીની મૂર્તિ

૧૯૬૦ની સાલમાં પ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ ડૉ. વિષ્ણુ શ્રીધર વાકણકર લંડન ગયા અને ત્યાંના સંગ્રહાલયમાં તેમણે માતા વાગ્દેવીની પ્રતિમા જોઈ. તેમણે ત્યાં આ વિશે અનેક લેખો લખ્યા, અનેક પુરાવાઓ અને દસ્તાવેજો પ્રસ્તુત કર્યા અને સાબિત કર્યું કે વાગ્દેવીની એ પ્રતિમા ભારતના ધાર રાજ્યની ભોજશાલામાં આવેલી પ્રતિમા છે. એટલું જ નહીં, તેમણે એ પ્રતિમાને ભારત પાછી લાવવા માટે પોતાનાથી થઈ શકે એ બધા જ પ્રયત્નો પણ કર્યા. પહેલાં જવાહરલાલ નેહરુને અને એ પછી ઇન્દિરા ગાંધીને રજૂઆત કરી, પણ પરિસ્થિતિ એવી જ રહી. 

આ જ સમયગાળા દરમ્યાન ધાર રાજ્યમાં એક દાનવ પ્રવેશ્યો. ભારત બહારથી પ્રવાસી તરીકે આવેલો મૌલવી કમાલુદ્દીન ચિશ્તી. ૩૬ વર્ષ સુધી તેણે ધારના અનેક હિન્દુઓને બહેલાવી-ફોસલાવીને ઇસ્લામ ધર્મમાં પરિવર્તિત કરવાના પ્રયત્નો કર્યા. ધર્મપરિવર્તનના એ કાવતરા સાથે એ ૩૬ વર્ષ દરમ્યાન તેણે ચૂપચાપ બીજી પણ એક પાશવી પ્રવૃત્તિ ચાલુ રાખી. તેણે અલાઉદ્દીન ખિલજી નામના બીજા લૂંટારાને મળીને તેની પાસે ધાર પર આક્રમણ કરવા માટે મદદ માગી. હુમલો કરવા પહેલાં અલાઉદ્દીન ખિલજીએ ધાર રાજ્ય, એની વિદ્યાપીઠ અને મંદિરો વિશેની પૂરેપૂરી જાણકારી માગી ત્યારે પેલા દાનવ મૌલવી કમાલુદ્દીન ચિશ્તીએ એ બધી જ જાણકારી તેને આપી અને આખરે ૧૩૦૫માં મૌલવી કમાલુદ્દીને અલાઉદ્દીન ખિલજી સાથે મળીને ધાર પર આક્રમણ કર્યું. આટલી મોટી સેનાના આક્રમણ સામે રાજ્ય અને પ્રજાની રક્ષા હેતુ તત્કાલીન રાજવી મહાકાલ દેવે પોતાની નાની સેના સાથે સામનો કરવાનો પ્રયત્ન તો કર્યો, પરંતુ સંખ્યાબળના હિસાબે સેના નાની હોવાને કારણે રાજવી સહિત આખી સેના વીરગતિને પ્રાપ્ત થઈ ગઈ જેને કારણે ધારમાં મુસ્લિમ સામ્રાજ્ય સ્થપાયું.

અલાઉદ્દીન પોતાની સેના સાથે ભોજશાલામાં ઘૂસ્યો અને મનુષ્ય હોવા પર પણ ઘૃણા થાય એવી ક્રૂરતા સાથે ત્યાંના છાત્રો અને શિક્ષકોને બળજબરીએ ઇસ્લામ કબૂલ કરવાની ફરજ પાડી. જ્ઞાનપિપાસુ અને અત્યંત હોશિયાર એવા અનેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જ્યારે ઇસ્લામ કબૂલ કરવાની ના કહી ત્યારે ૧૨૦૦ કરતાંય વધુ હિન્દુ વિદ્યાર્થીઓ અને ગુરુઓને ખિલજીએ ક્રૂરતાપૂર્વક મારી નાખ્યા. આ પાશવી કૃત્ય બાદ મૌલવી કમાલુદ્દીનને ધારમાં જ રહીને ત્યાંની પ્રજાનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવાની પ્રવૃત્તિ ચાલુ રાખવાનો નિર્દેશ આપીને અલાઉદ્દીન રવાના થઈ ગયો. એક જ વર્ષમાં ૧૩૦૬ની સાલમાં અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ અયન-અલ-મુલ્ક મુલતાનીએ અહીં એક મસ્જિદનું નિર્માણ કરવાનું શરૂ કર્યું, પરંતુ હિન્દુ પ્રજાએ એનો જબરદસ્ત વિરોધ કર્યો જેને કારણે મસ્જિદની સ્થાપનામાં વિલંબ થયો. વર્ષોની બળજબરી અને જુલમ છતાં સાચી સનાતન સંસ્કૃતિને વરેલી હિન્દુ પ્રજા હારી નહીં ત્યારે થાકી ગયેલા મુલતાનીએ ૧૩૩૦ની સાલમાં કમાલુદ્દીનને ધાર રાજ્યનો મૌલાના જાહેર કરી દીધો, પણ ત્યાર બાદના એક જ વર્ષમાં ૧૩૩૧ની સાલમાં કમાલુદ્દીનનું મૃત્યુ થઈ ગયું.

સૂર્યમાર્તન્ડ મંદિરમાંથી લાટ મસ્જિદ

 સાલ હતી ૧૩૯૩ની જ્યારે માલવાના તત્કાલીન ગવર્નર દિલાવર ખાને ભોજશાલાના જે સ્તંભો અને દીવાલ પર કમળ અને અન્ય ધાર્મિક ચિહનો કોતરાયેલાં હતાં એના પર મુસ્લિમ ચિહનો ઉકેરવાનો પ્રયત્ન કર્યો, પણ તે હિન્દુ પ્રતીકોને પૂર્ણ રીતે છુપાવી શક્યો નહીં. આ નિષ્ફ્ળતા ઓછી હતી તે ૧૪૦૧ની સાલમાં દિલાવર ખાને ભોજશાલાથી માત્ર એક કિલોમીટર દૂર આવેલું સૂર્યમાર્તન્ડ મંદિર તોડી પાડવા માટે જબરદસ્ત મોટી માત્રામાં હિન્દુઓની કત્લેઆમ ચલાવી. હજારો હિન્દુઓને નિર્દયતાથી મારી નાખ્યા બાદ સૂર્યમાર્તન્ડ મંદિર તોડી પાડવામાં આવ્યું અને ત્યાં એક મસ્જિદનું ચણતર કરાવ્યું જે આજે લાટ મસ્જિદ તરીકે ઓળખાય છે.

૧૫૧૪ની સાલમાં મહમૂદશાહ ખિલજીએ ફરી એક વાર ભોજશાલા પર હુમલો કર્યો અને અધૂરી રહી ગયેલી મસ્જિદનું કામ પૂરું કરાવવાના પ્રયત્નમાં અનેક ઘૃણાસ્પદ અત્યાચારો કર્યા. છેક ૧૫૫૨માં હિન્દુઓમાં ફરી એક વાર આશાવાદનો સૂર્યોદય થયો. હિન્દુ રાજપૂત રાજા મેદની રાયે ધારના તમામ હિન્દુઓને એકત્રિત કર્યા અને મહમૂદશાહ ખિલજી પર આક્રમણ કરવાની યોજના બનાવી. પ્રતાડિત હિન્દુઓના ગુસ્સાથી ઊકળતી એ સેનાનો મહમૂદશાહ ખિલજી સામનો ન કરી શક્યો અને ધાર છોડીને ભાગી ગયો. એ સમયે ૯૦૦ કરતાંય વધુ મુસ્લિમ સૂબેદારોને હિન્દુઓએ ધારના કિલ્લામાં કેદ કરી લીધા. તેમના પર ચાંપતી નજર રાખવા માટે જે સૈનિકોને રાખવામાં આવ્યા હતા એમાંના એક મુસ્લિમ સૈનિક સઈદ મસૂદ અબ્દુલ સમરકંદીએ ગદ્દારી કરી (જે મુસ્લિમોને આપણી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી આજ સુધી અત્યંત વફાદાર ચીતરતી આવી છે. ભારતનો ઇતિહાસ ઉલેચશો તો દરેક ઘટનામાં મુસ્લિમોની ગદ્દારી જોવા મળશે.) એને લીધે ૧૫૫૨ની પચીસમી માર્ચે રાજ્યના એ તમામ કેદી સૂબેદારો ભાગી ગયા. ગદ્દાર સમરકંદીને ત્યાર બાદ મૃત્યદંડની સજા થઈ જે આજ સુધી ‘બંદી છોડ દાતા’ તરીકે પ્રખ્યાત છે.  

મરાઠા અને બ્રિટિશ

૧૭૦૩ની સાલમાં મરાઠાઓએ માલવા પ્રદેશ મોગલો પાસેથી જીતી લીધો અને ત્યાર બાદ ૧૨૩ વર્ષ સુધી મરાઠાઓએ રાજ કર્યું, પણ ૧૮૨૬ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ માલવા પર કબજો કરી લીધો અને દુર્ભાગ્ય ગણો કે કરુણતા અંગ્રેજો પણ મુસ્લિમો જેવા જ નીકળ્યા. તેમણે ભોજશાલા અને એની આસપાસના પ્રદેશો પર હુમલા કર્યા અને પરમાર સામ્રાજ્યથી લઈને મરાઠા શાસન દરમ્યાન જે અનેક મૂર્તિઓ અને મંદિરોનું નિર્માણ થયું હતું એ બધું નષ્ટ કરવા માંડ્યા. ૧૮૭૫ની સાલમાં અંગ્રેજ પુરાતત્ત્વવિદોએ ભોજશાલામાં જમીનથી નીચેના સ્તરોનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. એ ખોદકામ દરમ્યાન તેમને માતા વાગ્દેવીની મૂર્તિ મળી આવી જેને એ સમયે માતા અંબિકા યક્ષિણી નામ આપવામાં આવ્યું હતું. ૧૮૯૩ની સાલમાં રૉયલ એશિયાટિક સોસાયટીમાં પ્રકાશિત થયેલા માઇકલ વિલિસના ‘ધાર, ભોજ અને સરસ્વતી’ નામના રિસર્ચ પેપરમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે કે ધારના વિશ્વવિદ્યાલય માટે ‘ભોજશાલા’ શબ્દપ્રયોગ પહેલી વાર જર્મન ભારતવિદ એલાઇસ એન્ટોન ફ્યુહરર દ્વારા કરવામાં આવ્યો હતો. ૧૯૦૨ની સાલમાં ભોજશાલાના એ મંદિરમાં જે સરસ્વતીમાતાની પ્રાચીન મૂર્તિ હતી એને લૉર્ડ (લૉર્ડ શાનો, ડેવિલ કહો) ડેવિલ કર્ઝને પોતાના કબજોમાં લઈ લીધી અને ભારત બહાર લઈ જઈને એને લંડનના સંગ્રહાલયમાં મુકાવી દીધી.


ભોજશાલાના પરિસરમાં આવેલી કમાલ મૌલાના મસ્જિદ. 

૧૯૩૦ ભારત પર મુસ્લિમો દ્વારા થયેલા અત્યાચારનું વધુ એક કાળું વર્ષ. આ વર્ષે પહેલી વાર ભોજશાલામાં મુસ્લિમોએ નમાજ અદા કરવાનો પ્રયત્ન કર્યો. નમાજના ઉદ્દેશ સાથે તેઓ ભોજશાલામાં પ્રવેશ્યા ખરા, પરંતુ આર્ય સમાજ અને હિન્દુ મહાસભાના હિન્દુ કાર્યકર્તાઓએ તેમને મહાપ્રયત્ને રોકી લીધા. ૧૯૩૬ની સાલમાં ફરી એક વાર મુસ્લિમોએ ભોજશાલામાં નમાજ અદા કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ફરી એક વાર હિન્દુઓ દ્વારા તેમને રોકી લેવામાં આવ્યા. એને કારણે બન્ને ધર્મના માનનારાઓ વચ્ચે એક મોટો વિવાદ શરૂ થઈ ગયો જે છેક ૧૯૪૨ની સાલ સુધી ચાલ્યો. આ જ વર્ષો દરમ્યાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિન્દુ મહાસભાના નેતૃત્વ હેઠળ ધારમાં હિન્દુઓએ શ્રી મહારાજ ભોજ સ્મૃતિ વનોત્સવનું ગઠન કર્યું. ત્યાર બાદ ભારતને આઝાદી મળી અને ૧૯૫૨ની સાલમાં ભારત સરકારે ભોજશાલાને ભારતીય પુરાતત્ત્વ વિભાગ અંતર્ગત સામેલ કરી લીધી.

દિગ્વિજય સિંહની સરકાર

ગનીમત હતી કે ૧૯૯૭ના વર્ષ સુધી ભોજશાલામાં પૂજા-અર્ચના કરવા માટે હિન્દુઓ સ્વતંત્ર હતા. જોકે મુસ્લિમ અને ઈસાઈઓનો દોર પૂરો જ થયો હતો ત્યાં સુધારેલા ઉદારમતવાદી (વાસ્તવમાં હિન્દુવિરોધી અને મુસ્લિમતરફી) હિન્દુનું રાજ આવ્યું. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન હતા દિગ્વિજય સિંહ. ૧૯૯૭ની ૧૨ માર્ચે રાજ્યની તત્કાલીન કૉન્ગ્રેસ સરકારે, દિગ્વિજય સિંહે એક સરકારી ફરમાન બહાર પાડીને હિન્દુઓની પૂજા પર રોક લગાવી દીધી. એટલું જ નહીં, બીજી તરફ દર શુક્રવારે મુસ્લિમોને ભોજશાલામાં નમાજ અદા કરવાની પરવાનગી આપી દેવામાં આવી. હદ તો એ હતી કે દિગ્વિજયની સરકારે ભોજશાલામાં હિન્દુઓના પ્રવેશ પર જ પ્રતિબંધ મૂકી દીધો. જ્યારે સૂતેલા, સહિષ્ણુ અને અહિંસાવાદની ઘૂંટી પીધેલી હિન્દુ પ્રજાએ ખૂબ વિરોધ કર્યો ત્યારે દિગ્વિજય દ્વારા તેમને એક ભીખ આપવામાં આવી કે માત્ર વસંતપંચમીના પર્વના દિવસે હિન્દુઓ ભોજશાલામાં જઈ શકશે.

શાંત, અહિંસાવાદી હિન્દુઓ પોતાની જ સાંસ્કૃતિક વિદ્યાપીઠ અને મંદિરમાં માત્ર વર્ષના એક દિવસ પ્રવેશની પરવાનગી મળવા છતાં ખુશ હતા, સૌહાર્દની માત્ર એકતરફી માન્યતામાં શાંત હતા. એમાં ૨૦૦૨ની સાલમાં દિગ્વિજય સરકારે ફરી એક ઘોષણા કરી. આ વર્ષે વસંતપંચમીના દિવસે જ કહેવાતા મૌલાના કમાલનો પણ જન્મદિવસ હોવાનું સરકાર દ્વારા કહેવામાં આવ્યું અને સાથે જ ફરમાન કરવામાં આવ્યું કે હિન્દુઓ બપોરના એક વાગ્યા સુધીમાં તેમની પૂજા પૂરી કરીને બહાર નીકળી જાય જેથી સાંજે કવ્વાલીના કાર્યક્રમનું આયોજન થઈ શકે. સામાન્ય રીતે ઘેનમાં રહેવા ટેવાયેલા હિન્દુઓમાં એ દિવસે ફૉર અ ચેન્જ હિન્દુત્વ જાગ્યું અને તેઓ મોડે સુધી ભોજશાલામાં પૂજા કરતા રહ્યા. એને કારણે રાજ્ય સરકાર ક્રોધિત થઈ ગઈ અને હિન્દુઓની એ ભીડ પર લાઠીચાર્જનો આદેશ આપી દેવામાં આવ્યો. પોલીસના લાઠીચાર્જને કારણે અનેક હિન્દુઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા જેમાં સ્ત્રીઓ અને બાળકો પણ હતાં. આટલા અત્યાચાર પછી પણ હિન્દુઓએ ભોજશાલા છોડી નહીં અને સાંજે માતા સરસ્વતીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું.

૨૦૦૨નો એ સરકારી જુલમ હિન્દુ પ્રજા ભૂલી નહીં અને ગુસ્સે ભરાયેલી પ્રજાએ ૨૦૦૩ની વસંતપંચમીનું પર્વ અત્યંત ભવ્ય રીતે ઊજવવાનું નક્કી કર્યું. એ વર્ષે પહેલી વાર રાજ્યમાં અનેક સ્થળોએ ભવ્ય રથયાત્રાઓ નીકળી. રાજ્ય સરકારે ભીડને નિયંત્રિત કરવાના અનેક પ્રયાસો કર્યા પરંતુ નિષ્ફળ રહી અને ૨૦૦૩ની ૬ ફેબ્રુઆરીએ એક લાખ કરતાં પણ વધુ મોટી જનમેદની વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદના પ્રવીણ તોગડિયાએ રાજ્ય સરકારને ૧૮ ફેબ્રુઆરીનું અલ્ટિમેટમ આપતાં ભોજશાલા ખાલી કરવા કહ્યું. રાજ્ય સરકારે ડરના માર્યા ૧૮ ફેબ્રુઆરીએ આખા ધારમાં ધારા ૧૪૪ હેઠળ કરફ્યુ લાગુ કરી દીધો એટલું જ નહીં, અનેક હિન્દુ ભક્તો પર સખત લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો. સરકારી આંકડા સાચા માનીએ તો એ લાઠીચાર્જમાં ૨૩ જેટલા હિન્દુ અત્યંત ગંભીર રીતે ઘાયલ થયા હતા. બીજા દિવસે ૧૯ ફેબ્રુઆરીએ પણ ધારા ૧૪૪ લાગુ રહી. આ દિવસે હિન્દુઓની ભીડ ભોજશાલા તરફ જઈ રહી હતી ત્યારે સરકારે તેમના પર લાઠીચાર્જ અને ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. એમાં સ્ત્રીઓ અને નાનાં બાળકો સહિત ૩૫ હિન્દુઓ ગંભીર રીતે ઘાયલ થયાં અને બે હિન્દુનાં મૃત્યુ થઈ ગયાં. હિન્દુઓનો ગુસ્સો આ ઘટના બાદ શાંત થવાને બદલે વધુ ભડક્યો ત્યારે આખરે ૨૦૦૨ની ૮ એપ્રિલે રાજ્ય સરકારે હિન્દુઓને પ્રતિદિન દર્શન કરવાની અને દર મંગળવારે પૂજા કરવાની પરવાનગી આપવી પડી.

આવી દરેક તકમાં રાજકારણ રમી લેવાનો મોકો શોધી કાઢતા રાજકારણીઓ આપણા દેશમાં ઓછા નથી, પછી ભલે કૉન્ગ્રેસ હોય કે BJP. BJPના વિપક્ષના નેતા શિવરાજસિંહ ચૌહાણે સરકારની ભોજશાલા પ્રત્યેની નીતિઓની આલોચના કરી અને ભોજશાલાને એક મંદિર તરીકે ગણાવ્યું. હવે મજાની વાત જુઓ. ૨૦૦૬ની વસંતપંચમી શુક્રવારે હતી અને મુખ્ય પ્રધાન હતા BJPના શિવરાજસિંહ ચૌહાણ. જે શિવરાજસિંહ ચૌહાણ ૨૦૦૩માં ભોજશાલા માટે દિગ્વિજય સરકારની આલોચના કરતા હતા તેમણે જ ૨૦૦૬માં વસંતપંચમીને નહીં પણ શુક્રવારને પ્રાધાન્ય આપીને જુમ્માની નમાજને પ્રાથમિકતા આપી. હિન્દુઓને ભોજશાલામાં પૂજા કરવાની પરવાનગી આપવામાં ન આવી. ફરી એક વાર હિન્દુ ભક્તો પર BJPની શિવરાજસિંહ ચૌહાણની સરકારના રાજમાં બેરહેમ લાઠીચાર્જ કરવામાં આવ્યો જેમાં સેંકડો હિન્દુઓ ઘાયલ થઈ ગયા. આ જ ઘટનાનું પુનરાવર્તન ૨૦૧૩ અને ૨૦૧૬માં થયું જ્યારે વસંતપંચમી શુક્રવારના દિવસે આવી હતી.

દોહરા રાજકારણનો હજી એક નમૂનો જુઓ. ૨૦૧૨માં હિન્દુઓએ વસંતપંચમીના દિવસે વાગ્દેવીમાતાની મૂર્તિની એક પાલખીયાત્રા કાઢી અને સરકાર સામે રજૂઆત કરી કે દેવીની એ મૂર્તિને ભોજશાલામાં સ્થાપિત કરવાની પરવાનગી આપવામાં આવે, પણ BJP અને શિવરાજસિંહ સરકારે ના કહી દીધી. અનુમતિ તો ન આપી પણ રાજ્ય સરકારે એ મૂર્તિ પણ પોતાના કબજામાં લઈ લીધી અને એને ગ્વાલિયરની જેલમાં મૂકી દેવામાં આવી. એના વિરોધમાં હિન્દુ જાગરણ મંચના નવલકિશોર દ્વારા એ સમયે આમરણ ઉપવાસ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ શિવરાજસિંહે તેમને પણ પકડીને જેલમાં પૂરી દીધા.


ભોજશાલાના થાંભલાઓ અને ગુંબજ પર સંસ્કૃત અને પ્રાકૃતમાં લખાયેલા શ્ળોકો

હિન્દુ ફ્રન્ટ ફૉર જસ્ટિસ

૨૦૨૨માં હિન્દુ ફ્રન્ટ ફૉર જસ્ટિસ દ્વારા કોર્ટમાં એક યાચિકા દાખલ કરવામાં આવી જેમાં કહેવામાં આવ્યું કે ભોજશાલા એક મંદિર છે કે મસ્જિદ એ કોર્ટ નક્કી કરે. ત્યાર બાદ ૧૮ દિવસ સુધી ચાલેલી એ શોધખોળના અંતે ૨૦૨૪ની ૧૫ જુલાઈએ પુરાતત્ત્વ વિભાગે ૨૦૦૦ કરતાં પણ વધુ પાનાંમાં તૈયાર કરેલો એક રિપોર્ટ ઉચ્ચ ન્યાયાલયને સોંપ્યો. એમાં લખવામાં આવ્યું કે ભોજશાલાની અંદર ચાંદી, તાંબા અને ઍલ્યુમિનિયમ તથા સ્ટીલના લગભગ ૩૧ જેટલા સિક્કા મળી આવ્યા છે જે દસમી અને સોળમી શતાબ્દી અને એની વચ્ચેના સમયગાળાના છે. એમાં પરમાર વંશના રાજાઓના પણ સિક્કાઓ છે. આ સિવાય ૯૪ જેટલી મૂર્તિઓ અને બીજી પ્રતિમાઓ અને એના ટુકડાઓ મળી આવી આવ્યા છે જે ભગવાન ગણેશ, નરસિંહ, બ્રહ્મા, ભૈરવ તથા દેવીઓ-દેવતાઓની આકૃતિઓ છે. એમાંની કેટલીક સિંહ, વાઘ જેવાં જાનવરો અને પક્ષીઓની પણ પ્રતિમાઓ છે. આ રિપોર્ટમાં એ પણ વિદિત કરવામાં આવ્યું કે ભોજશાલામાં અનેક સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના શિલાલેખો અને સ્તંભો છે. ત્યાર બાદ આ વર્ષના એપ્રિલ મહિનામાં જે કંઈ થયું એ વિશે આપણે બધા જ જાણીએ છીએ. ઉચ્ચ ન્યાયાલયે સ્વીકાર્યું કે ભોજશાલા વાસ્તવમાં એક મંદિર અને વિદ્યાપીઠ છે જેને પાછળથી મસ્જિદમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ૨૦૨૬ની ૧૫ મેએ કોર્ટે કહ્યું કે ભોજશાલા ક્યારેય મસ્જિદ હતી જ નહીં અને એ હંમેશાં એક મંદિર જ હતું.

Whatsapp-channel Whatsapp-channel

07 June, 2026 03:13 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK