અમેરિકામાં માનવીય આધાર પર તેણે ફરી એક અપીલ કરી હોવાથી એનો નિર્ણય આવ્યા બાદ તેના પ્રત્યાર્પણની કાર્યવાહી આગળ વધશે
તહવ્વુર રાણા
ભારતના દુશ્મન એવા તહવ્વુર રાણાને અમેરિકાથી ભારતમાં લાવવામાં થોડો સમય લાગે એવી શક્યતા છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે રાણાને ભારતને સોંપવા માટે મંજૂરી આપી દીધી છે, પણ તેણે માનવીય આધાર પર ફરી એક અપીલ કરી છે જેના પર નિર્ણય લેવાયા બાદ તેના પ્રત્યાર્પણની કાર્યવાહી આગળ ધપશે.
૨૦૦૮ની ૨૬ નવેમ્બરે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના કેસમાં તહવ્વુર રાણા પણ આરોપી છે અને તેના પ્રત્યાર્પણને અમેરિકાએ મંજૂરી આપી દીધી છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે પણ તેની રિવ્યુ પિટિશન ફગાવી દેતાં તેનો ભારત લાવવાનો રસ્તો સાફ થયો હતો, પણ તેણે હવે છેલ્લી અરજી કરી છે.
ADVERTISEMENT
આ મામલે નિષ્ણાતોનું કહેવું છે કે આ એક કાનૂની કેસ છે અને ભારત અને અમેરિકાના મજબૂત રાજનૈતિક સંબંધો જોતાં તેના પ્રત્યાર્પણને કોઈ અસર નહીં પડે. જોકે પ્રત્યાર્પણ થોડાં અઠવાડિયાં માટે લંબાઈ ગયું છે.
તહવ્વુર રાણા મૂળ પાકિસ્તાની પણ કૅનેડાનો નાગરિક છે. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તય્યબાને મટીરિયલ સપોર્ટ કરવા માટે ૨૦૧૧માં તેને અમેરિકાની સુપ્રીમ કોર્ટે સજા ફટકારી હતી.

