મહારાષ્ટ્ર મંદિર મહાસંઘના કો-ઑર્ડિનેટર સુનીલ ઘનવટે કહ્યું હતું કે ‘જળગાવમાં તાજેતરમાં મહારાષ્ટ્ર ટેમ્પલ ટ્રસ્ટની બેઠક થઈ હતી
પ્રતીકાત્મક તસવીર
ભગવાનના મંદિરમાં ફાટેલાં જીન્સ કે શરીર દેખાતું હોય એવાં કપડાં પહેરનારાઓને પ્રવેશ ન આપવાની ઝુંબેશ મહારાષ્ટ્ર મંદિર મહાસંઘ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશને ભક્તોનો સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈના પ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર સહિત અનેક મંદિરોએ ડ્રેસ-કોડ લાગુ કર્યો છે ત્યારે ગણપતિના અષ્ટવિનાયકમાં સામેલ મોરગાવના મોરેશ્વર, થેઉરના ચિંતામણિ, સિદ્ધટેકના સિદ્ધિવિનાયક, ચિંચવડના મોરવા ગોસાવી સંજીવન મંદિર અને ખાર નારંગી મંદિરમાં પણ ડ્રેસ-કોડ લાગુ કરવામાં આવ્યો છે. ડ્રેસ-કોડ સંબંધે આ મંદિરોએ ભક્તો માટેની નિયમાવલિ જાહેર કરી છે.
મહારાષ્ટ્ર મંદિર મહાસંઘના કો-ઑર્ડિનેટર સુનીલ ઘનવટે કહ્યું હતું કે ‘જળગાવમાં તાજેતરમાં મહારાષ્ટ્ર ટેમ્પલ ટ્રસ્ટની બેઠક થઈ હતી એમાં મંદિરોમાં પ્રવેશ માટેના ડ્રેસ-કોડનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમારી ઝુંબેશ શરૂ થયા બાદથી રાજ્યભરનાં મંદિરોમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આથી અષ્ટવિનાયક મંદિરોમાં પણ ભક્તો યોગ્ય કપડાં પહેરીને જ ભગવાનનાં દર્શન કરવા જશે એવી અપેક્ષા છે.’

