જે પર્યટન-સ્થળોએ પહેલેથી જ પોલીસચોકી કાર્યરત છે એને અત્યાધુનિક ટૂરિસ્ટ-પોલીસ-સ્ટેશન તરીકે કરવામાં આવશે અપગ્રેડ
ગુજરાતના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત પોલીસ-અધિકારીઓ.
ગુજરાતમાં ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ જેવા મુખ્ય પ્રવાસન જિલ્લાઓમાં ટૂરિસ્ટ-ફ્રેન્ડ્લી વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે ખાસ ટૂરિસ્ટ પોલીસ-સ્ટેશન સ્થાપવામાં આવશે.
ગુજરાતનાં પર્યટનસ્થળોએ આવતા પ્રવાસીઓની સુરક્ષા, સુવિધા અને સુખદ અનુભવમાં વધારો કરવાના ઉદ્દેશ સાથે ગુજરાતના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવની અધ્યક્ષતા હેઠળ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકનો ઉદ્દેશ ગુજરાતના મહત્ત્વના પ્રવાસન જિલ્લાઓમાં ટૂરિસ્ટ પોલીસ-સ્ટેશન કાર્યરત કરવાનો હતો. ડૉ. રાવે કહ્યું હતું કે આ પહેલનો હેતુ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનો જ નથી, પરંતુ ગુજરાતની મુલાકાતે આવતા દેશ-વિદેશના પર્યટકોને એક સુરક્ષિત અને ટૂરિસ્ટ-ફ્રેન્ડ્લી વાતાવરણ પૂરું પાડવાનો છે.
ADVERTISEMENT
જે પર્યટન-સ્થળો પર પહેલેથી જ પોલીસચોકીઓ કાર્યરત છે ત્યાં ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને એને અત્યાધુનિક ટૂરિસ્ટ પોલીસ-સ્ટેશન તરીકે અપગ્રેડ કરવામાં આવશે.
પ્રવાસીઓ પોલીસને સરળતાથી ઓળખીને મદદ મેળવી શકે એથી પોલીસ-કર્મચારીઓ માટે વિશેષ યુનિફૉર્મ અને વાહનો માટે એક અનન્ય લોગો ડિઝાઇન કરવા વિશે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી.
પ્રવાસીઓને એક જ પ્લૅટફૉર્મ પર તમામ જરૂરી માહિતી અને સુરક્ષા સંબંધી સેવાઓ મળી રહે એવા હેતુથી તમામ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસને એક સેન્ટ્રલ ઇન્ટરૅક્ટિવ ટૂરિસ્ટ પોલીસ ઍપ્લિકેશન વિકસાવવાની સૂચના પણ આપવામાં આવી છે.
