Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ઋષિ પંચમીના દિવસે સપ્તર્ષિઓની પૂજા શા માટે કરવામાં આવે છે? આ પૌરાણિક કથા તમને ખબર છે?

ઋષિ પંચમીના દિવસે સપ્તર્ષિઓની પૂજા શા માટે કરવામાં આવે છે? આ પૌરાણિક કથા તમને ખબર છે?

Published : 15 September, 2026 10:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Rishi Panchami 2026: શાસ્ત્રો અનુસાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ ઋષિ પંચમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે; આ દિવસ મુખ્યત્વે સપ્તઋષિઓના પૂજન અને તેમના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સમર્પિત છે ત્યારે જાણીએ આજના દિવસનું મહત્વ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ભારતવર્ષ હંમેશાં ઋષિ-મુનિઓની તપોભૂમિ રહ્યું છે, જ્યાં સંતો અને ઋષિઓને દેવતાઓ સમાન પૂજનીય માનવામાં આવે છે. આ જ મહાન સપ્તઋષિઓ પ્રત્યે કૃતજ્ઞતા અને શ્રદ્ધા વ્યક્ત કરવાનો પવિત્ર ઉત્સવ એટલે `ઋષિ પંચમી` (Rishi Panchami 2026), જે પ્રતિવર્ષ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ ઉજવવામાં આવે છે. વૈદિક પંચાંગ અનુસાર, આજે ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવારના રોજ દેશભરમાં ઋષિ પંચમી ઉજવાઈ રહી છે. આ દિવસ સપ્તઋષિઓના સન્માન અને આત્મશુદ્ધિ માટે ખાસ માનવામાં આવે છે, જેમાં મહિલાઓ માટે વિશેષ વ્રત અને પૂજા કરવાનો વિધાન છે.

આ પવિત્ર દિવસે વિધિ-વિધાન સાથે સપ્તઋષિઓનું પૂજન કરવામાં આવે છે અને આખો દિવસ વ્રતનું પાલન કરીને બીજા દિવસે પારણા કરવામાં આવે છે. ચાલો જાણીએ ઋષિ પંચમી પર સપ્તઋષિઓની પૂજાનું કારણ, તેનું મહત્વ અને તેના પાછળની પૌરાણિક વાર્તા.



ઋષિ પંચમી પર સપ્તઋષિઓની પૂજા કેમ કરવામાં આવે છે?


ઋષિ પંચમી એવો અવસર છે જ્યારે શ્રદ્ધાળુઓ દેવી-દેવતાઓની સાથે સાથે માનવજાતને જ્ઞાન આપનારા ઋષિઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે સપ્તઋષિઓની પૂજા કરે છે. આ દિવસને ભૂલોની ક્ષમા માંગવા અને આદર વ્યક્ત કરવાનો દિવસ પણ માનવામાં આવે છે.

આ દિવસે મુખ્ય સપ્તઋષિઓ — વસિષ્ઠ, કશ્યપ, અત્રિ, જમદગ્નિ, ગૌતમ, વિશ્વામિત્ર અને ભરદ્વાજ નો પૂજા-અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, મહિલાઓ દ્વારા માસિક ધર્મ (રજસ્વલા) દરમિયાન અજાણતા કે અજ્ઞાનતાવશ થયેલી ભૂલો કે અશુદ્ધિના દોષમાંથી મુક્તિ મેળવવા માટે આ વ્રત અને સપ્તઋષિઓની પૂજા કરવામાં આવે છે. આ પૂજાથી દેવતાઓની સાથે ઋષિઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.


સપ્તઋષિઓની પૂજા સાથે જોડાયેલી પૌરાણિક વાર્તા

એક પૌરાણિક કથા અનુસાર, સુમિત્ર નામનો એક ખેડૂત અને તેની પવિત્ર પત્ની જયશ્રી રહેતા હતા. એકવાર જયશ્રીએ ઋષિઓને ભોજન માટે આમંત્રણ આપ્યું, પરંતુ તે જ દિવસે તેને માસિક ધર્મ શરૂ થઈ ગયો. તેણે પડોશીની સલાહથી સાત વાર સ્નાન કરીને અને સાત વાર વસ્ત્રો બદલીને ભોજન બનાવી દીધું.

જ્યારે ઋષિઓ ભોજન માટે આવ્યા, ત્યારે તેમને દિવ્ય દ્રષ્ટિથી ખબર પડી ગઈ કે ભોજન અશુદ્ધિની સ્થિતિમાં બનાવવામાં આવ્યું છે. ઋષિઓએ શાપ આપ્યો, જેના પરિણામે પછીના જન્મમાં તે ખેડૂત બળદ અને તેની પત્ની કૂતરીના રૂપમાં જન્મ્યા અને પોતાના પુત્ર સુચિત્રના ઘરે રહેવા લાગ્યા.

પુત્ર સુચિત્રને જ્યારે ઋષિઓ દ્વારા પોતાના માતા-પિતાના આ દુઃખદ જન્મનું કારણ ખબર પડી, ત્યારે તેણે માતા-પિતાને પાપમુક્ત કરવા માટે ઉપાય પૂછ્યો. ઋષિઓએ તેને ઋષિ પંચમીનું વ્રત અને સપ્તઋષિઓની પૂજા કરવાની વિધિ બતાવી. પુત્ર અને તેની પત્નીએ વિધિવત રીતે ઋષિ પંચમીનું વ્રત કરીને તેનું પુણ્ય માતા-પિતાને અર્પણ કર્યું, જેનાથી તેઓ પશુ યોનિમાંથી મુક્ત થઈને ફરી મનુષ્ય યોનિમાં આવ્યા. આ જ કારણસર આજે પણ આ વ્રત કરવાથી માસિક ધર્મ દરમિયાન થયેલી ભૂલોની ક્ષમા મળે છે.

બ્રહ્માંડ પુરાણ અનુસાર ઋષિ પંચમી વ્રતનું મહત્વ

બ્રહ્માંડ પુરાણમાં વર્ણવ્યા અનુસાર, વિદર્ભ દેશમાં સુધર્મા નામનો એક બ્રાહ્મણ તેની પત્ની સુશીલા અને પુત્રી સુમતિ સાથે રહેતો હતો. સુમતિના વિવાહ એક યોગ્ય બ્રાહ્મણ સાથે થયા હતા, પરંતુ થોડા જ સમયમાં તેના પતિનું અવસાન થતાં તે વિધવા તરીકે ધર્મપૂર્વક જીવન વિતાવતી હતી.

એકવાર સુમતિને તીવ્ર શારીરિક પીડા થવા લાગી. તેની માતા તેને એક સંત પાસે લઈ ગઈ. સંતે ધ્યાન લગાવીને બતાવ્યું કે પૂર્વ જન્મમાં સુમતિએ રજસ્વલા અવસ્થા દરમિયાન અજ્ઞાનતાવશ રસોડામાં કામ કર્યું હતું, જેના કારણે તેને શારીરિક અશુદ્ધિનો દોષ લાગ્યો હતો અને આ જન્મમાં તેની પીડા ભોગવવી પડી રહી છે.

સંતે આ દોષમાંથી મુક્તિ મેળવવા માટે ઋષિ પંચમીનું વ્રત, સ્નાન, નિયમોનું પાલન અને સપ્તઋષિઓની પૂજા કરવાનો ઉપાય બતાવ્યો. આ વ્રત કરવાથી સુમતિને દોષમાંથી મુક્તિ મળી હતી.

સપ્તઋષિ કોણ છે?

સપ્તઋષિઓ વૈદિક જ્ઞાન, દિવ્ય શક્તિ અને આધ્યાત્મિક પરંપરાના પ્રતીક છે. વિષ્ણુ પુરાણમાં ઋષિ પરાશર દ્વારા આ સાત મહાન ઋષિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે:

વસિષ્ઠ-કશ્યપો-અત્રિ-જમદગ્નિ-સ-ગૌતમઃ,

વિશ્વામિત્ર-ભરદ્વાજૌ સપ્ત સપ્તર્ષયોऽભવન્।

એટલે કે વસિષ્ઠ, કશ્યપ, અત્રિ, જમદગ્નિ, ગૌતમ, વિશ્વામિત્ર અને ભરદ્વાજ એ સપ્તઋષિ છે. આ સાત ઋષિઓ દિવ્ય પ્રકાશની સાત કિરણોનું પ્રતિનિધિત્વ કરે છે, જે સમગ્ર બ્રહ્માંડની વ્યવસ્થા અને સૃષ્ટિના સંતુલનને જાળવી રાખવામાં મદદ કરે છે.

ઋષિ પંચમીના આ પવિત્ર દિવસે સપ્તઋષિઓની પૂજા કરવાથી સાધકો અને મહિલાઓને ઋષિઓના અક્ષય આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમામ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ દોષો દૂર થાય છે.

 

(ખાસ નોંધ: આ લેખમાં દર્શાવવામાં આવેલા ઉપાયો, મહત્વ અને કથાઓ ધાર્મિક માન્યતાઓ, પંચાંગ અને પૌરાણિક ગ્રંથો પર આધારિત છે. વાચકોને વિનંતી છે કે તેને સામાન્ય માહિતી તરીકે લેવી અને પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો.)

Whatsapp-channel Whatsapp-channel

15 September, 2026 10:56 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK