ભારતમાં મહિલા ક્રિકેટનાં પ્રણેતા ડાયના એદલજીએ કહ્યું હતું કે ‘આ મારા માટે અને બધી મહિલા ક્રિકેટરો માટે ખૂબ જ સન્માનની વાત છે. એક સ્વપ્ન સાકાર થયું છે. આ મારા જીવનનો એક ઐતિહાસિક દિવસ છે. હું મારા જીવનમાં આ દિવસ ક્યારેય ભૂલીશ નહીં.’
વાનખેડે સ્ટેડિયમમાં રવિ શાસ્ત્રીના સ્ટૅન્ડ સહિત ત્રણ ગેટનું નવા નામ સાથે અનાવરણ
વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં એક સ્ટૅન્ડ અને ૩ ગેટનું નવા નામ સાથે અનાવરણ કરવામાં આવ્યું હતું. ગઈ કાલે સ્ટેડિયમમાં આયોજિત સમારોહમાં સુનીલ ગાવસકર અને વર્તમાન ભારતીય T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ સહિત અનેક અગ્રણીઓ હાજર હતા. વાનખેડે સ્ટેડિયમમાં પ્રેસ-બૉક્સ નીચે લેવલ વન સ્ટૅન્ડ ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અને પ્રખ્યાત કૉમેન્ટેટર રવિ શાસ્ત્રીના નામે રાખવામાં આવ્યું છે. ગેટ-નંબર ૩, પાંચ અને ૬ને અનુક્રમે દિલીપ સરદેસાઈ, ડાયના એદલજી અને એકનાથ સોલકરનું નામ મળ્યું છે. દિવંગત એકનાથ સોલકર અને દિલીપ સરદેસાઈના પરિવારોએ તેમના નામના ગેટનું અનાવરણ કર્યું હતું. ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ સ્પીચ વખતે ભાવુક થઈને કહ્યું હતું, ‘મારી પત્ની અહીં છે. મારી દીકરી અહીં છે જેણે મને ક્યારેય રમતાં જોયો નથી. હું ખુશ છું પણ એક જ નિરાશા છે. મારા પપ્પા મારા હીરો હતા, આજે અહીં નથી. તેમને મારા પણ ગર્વ થશે.’ ભારતમાં મહિલા ક્રિકેટનાં પ્રણેતા ડાયના એદલજીએ કહ્યું હતું કે ‘આ મારા માટે અને બધી મહિલા ક્રિકેટરો માટે ખૂબ જ સન્માનની વાત છે. એક સ્વપ્ન સાકાર થયું છે. આ મારા જીવનનો એક ઐતિહાસિક દિવસ છે. હું મારા જીવનમાં આ દિવસ ક્યારેય ભૂલીશ નહીં.’
