કુલ કાર્યકાળની દૃષ્ટિએ જવાહરલાલ નેહરુ હજી પણ આગળ, ટોટલ ૬૧૩૧ દિવસ હતા પ્રાઇમ મિનિસ્ટર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના રેકૉર્ડને પાછળ છોડીને ભારતના સૌથી લાંબો સમય ‘સળંગ ચૂંટાયેલા’ વડા પ્રધાન બનશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતીય રાજનીતિમાં એક નવો ઐતિહાસિક માઇલસ્ટોન સ્થાપશે. તેઓ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના રેકૉર્ડને પાછળ છોડીને ભારતના સૌથી લાંબો સમય ‘સળંગ ચૂંટાયેલા’ વડા પ્રધાન બનશે. નરેન્દ્ર મોદી આજે ૧૦ જૂને વડા પ્રધાન તરીકે સળંગ ૪૩૯૯ દિવસ પૂરા કરશે, જ્યારે નેહરુ દેશની પ્રથમ સામાન્ય ચૂંટણી પછી ૧૯૫૨ની ૧૩ મેથી ૧૯૬૪ની ૨૭ મે સુધી સળંગ ૪૩૯૮ દિવસ આ પદ પર રહ્યા હતા.
નરેન્દ્ર મોદી ૨૦૧૪ની ૨૬ મેએ પ્રથમ વખત વડા પ્રધાન બન્યા હતા અને હાલમાં તેઓ તેમના ત્રીજા કાર્યકાળમાં સેવા આપી રહ્યા છે. આ પૂર્વે જુલાઈ ૨૦૨૫માં તેમણે ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના સળંગ ૪૦૭૭ દિવસના કાર્યકાળના રેકૉર્ડને પાછળ છોડ્યો હતો. નરેન્દ્ર મોદી સતત ત્રણ લોકસભાની ચૂંટણી જીતનારા અને બે પૂર્ણ બહુમતીવાળો કાર્યકાળ પૂરો કરનારા દેશના પ્રથમ બિનકૉન્ગ્રેસી વડા પ્રધાન છે.
ADVERTISEMENT
આ અગાઉ આ જ વર્ષે માર્ચમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન અને દેશના વડા પ્રધાન તરીકેનો ૮૯૩૧ દિવસનો સંયુક્ત કાર્યકાળ પૂરો કર્યો ત્યારે તેમણે સળંગ શાસનનો સિક્કિમના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પવન કુમાર ચામલિંગનો રેકૉર્ડ તોડ્યો હતો. જોકે વડા પ્રધાન તરીકેના કુલ કાર્યકાળની દૃષ્ટિએ જવાહરલાલ નેહરુ હજી પણ ૬૧૩૧ દિવસ સાથે દેશમાં પ્રથમ સ્થાને છે.
આજે સાંજે ગુજરાતમાં ઠેર-ઠેર થશે મહાઆરતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારનાં ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં વિવિધ મંદિરોમાં સાંજે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મહાઆરતીમાં સહભાગી બનશે. મંદિરોમાં નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના થશે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અડાલજ ખાતે આવેલા ત્રિમંદિર ખાતે મહાઆરતીમાં ભાગ લેશે.
નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં આજે યોજાશે તેમના સુખમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે વિશેષ કાર્યક્રમ
વડા પ્રધાન તરીકેના કાર્યકાળને ૧૨ વર્ષ પૂરાં થવાના અવસરે હાટકેશ્વર મહાદેવ મંદિરમાં આયોજન
નરેન્દ્ર મોદીના વડા પ્રધાન તરીકેના કાર્યકાળનાં ૧૨ વર્ષ પૂરાં થવાના અવસરે તેમના વતન વડનગરમાં આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે તેમના સુખમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે નાગરિકો દ્વારા પ્રાર્થના કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવનારા આ કાર્યક્રમમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાશે તેમ જ સ્વચ્છતા-કર્મીઓનું સન્માન કરવામાં આવશે. ત્યાર બાદ ધૂન યોજાશે અને એ પછી મહાઆરતી ઉતારવામાં આવશે જેમાં BJPના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે અને મહાઆરતીમાં ભાગ લેશે.
