પાકિસ્તાન અને ચીનની બાબતોના નિષ્ણાત તરીકે અને નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલ સેક્રેટરિયેટમાં લશ્કરી સલાહકાર રહી ચૂક્યા છેઃ દેશના સૌથી વરિષ્ઠ લશ્કરી કમાન્ડર જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ પૂરો થતાં લીધી નિવૃત્તિ
એન. એસ. રાજા સુબ્રમણી
પાકિસ્તાન અને ચીનના નિષ્ણાત તરીકે જાણીતા જનરલ એન. એસ. રાજા સુબ્રમણીએ ગઈ કાલે ભારતના નવા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ ભારતના ત્રીજા CDS છે. તેમણે જનરલ અનિલ ચૌહાણનું સ્થાન લીધું હતું, જેમણે શનિવારે દેશના સૌથી વરિષ્ઠ લશ્કરી કમાન્ડર તરીકેનો કાર્યકાળ પૂરો કર્યા પછી નિવૃત્તિ લીધી હતી.
જનરલ સુબ્રમણી નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલ સેક્રેટરિયેટ (NSCS) ખાતે લશ્કરી સલાહકાર તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ ગયા વર્ષે ૩૧ જુલાઈએ ઉપ-સેનાપ્રમુખ તરીકે નિવૃત્ત થયા હતા. લશ્કરી અધિકારીએ ચાર્જ સંભાળ્યાના થોડા સમય પછી તેમણે કહ્યું હતું કે ‘સશસ્ત્ર દળોમાં પરિવર્તન અને ત્રણેય સેવાની સિનર્જી અને એકીકરણ વધારવા માટે સંગઠનાત્મક સુધારા પર મારું પ્રાથમિક ધ્યાન રહેશે. અમે આપણાં સશસ્ત્ર દળોમાં સ્વદેશી શસ્ત્રોના વિકાસ, સમાવેશ અને એકીકરણને વેગ આપીશું. આપણાં સશસ્ત્ર દળોએ આપણાં રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવામાં સતત પ્રોફેશનલિઝમ અને કાર્યકારી નિર્ણાયકતા દર્શાવી છે. આપણે આપણા દેશના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. હું ભારતના નાગરિકોને ખાતરી આપું છું કે સશસ્ત્ર દળો સમર્પણ, હિંમત, સન્માન અને પ્રોફેશનલિઝમ સાથે રાષ્ટ્રની સેવા કરવાનું ચાલુ રાખશે.’
ADVERTISEMENT
૪૦ વર્ષથી વધુની તેમની શાનદાર કારકિર્દીમાં જનરલ સુબ્રમણીએ સંઘર્ષ અને ભૂપ્રદેશનાં વિવિધ ક્ષેત્રોમાં સેવા આપી હતી અને અનેક કમાન્ડ, સ્ટાફ અને સૂચનાત્મક નિમણૂકો સંભાળી હતી. તેમણે ૨૦૨૪ની ૧ જુલાઈથી ૨૦૨૫ની ૩૧ જુલાઈ સુધી આર્મી સ્ટાફના વાઇસ-ચીફ તરીકે સેવા આપી હતી અને માર્ચ ૨૦૨૩થી જૂન ૨૦૨૪ સુધી સેન્ટ્રલ કમાન્ડના જનરલ ઑફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ હતા. તેઓ રાષ્ટ્રીય સંરક્ષણ ઍકૅડેમી અને ભારતીય લશ્કરી ઍકૅડેમીના સ્નાતક છે.
