પશ્ચિમ બંગાળમાં બહુમતી સાથે મળેલી આ જીત બાદ દેશના હૃદય સમાન ઉત્તર ભારતથી લઈને પૂર્વોત્તર સુધી કેસરી રંગ વધુ ઘાટો થયો છે. 2047 સુધીમાં `વિકસિત ભારત`ના સંકલ્પ સાથે આગળ વધી રહેલી ભાજપે પોતે સોશિયલ મીડિયા પર આ નવો નકશો જાહેર કર્યો છે.
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ભારતનો રાજકીય નકશો આજે ફરી એકવાર સંપૂર્ણપણે બદલાઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોએ માત્ર બંગાળ જ નહીં, પરંતુ સમગ્ર દેશના રાજકારણમાં એક નવો અધ્યાય લખ્યો છે. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ હવે દેશના 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભાજપ અથવા તેના સહયોગી NDA (National Democratic Alliance) ની સરકારો સત્તા પર છે.
ભારતનો નવો ‘ભગવો’નકશો
ADVERTISEMENT
પશ્ચિમ બંગાળમાં બહુમતી સાથે મળેલી આ જીત બાદ દેશના હૃદય સમાન ઉત્તર ભારતથી લઈને પૂર્વોત્તર સુધી કેસરી રંગ વધુ ઘાટો થયો છે. 2047 સુધીમાં `વિકસિત ભારત`ના સંકલ્પ સાથે આગળ વધી રહેલી ભાજપે પોતે સોશિયલ મીડિયા પર આ નવો નકશો જાહેર કર્યો છે. હાલમાં દેશના મુખ્ય રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, હરિયાણા, ઓડિશા અને ગુજરાત સહિતના 22 પ્રદેશોમાં NDA શાસન છે. આમાંથી 17 રાજ્યોમાં ભાજપના પોતાના મુખ્યમંત્રીઓ છે, જે દર્શાવે છે કે ભાજપ અત્યારે તેની લોકપ્રિયતાના સર્વોચ્ચ શિખરે છે.
બંગાળ વિજયના આંકડા: અશક્યને શક્ય કર્યું
સાંજે 4 વાગ્યા સુધીના સત્તાવાર વલણો મુજબ, ભાજપ 198 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી તરફ છે, જ્યારે 15 વર્ષથી શાસન કરતી TMC માત્ર 89 બેઠકો પર સમેટાઈ ગઈ છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે જે 119 બેઠકો મમતા બેનર્જીનો અભેદ ગઢ ગણાતી હતી, તેમાંથી 58% બેઠકો એટલે કે 69 બેઠકો ભાજપે આંચકી લીધી છે.
વિશ્લેષણ: ભાજપની જીતના 5 મુખ્ય પરિબળો
1. હિન્દુ મતોનું ધ્રુવીકરણ અને ‘માછલી-ભાત’ની રણનીતિ
બંગાળમાં ભાજપ પર હંમેશા `બહારની પાર્ટી` હોવાનો આરોપ લાગતો હતો. મમતા બેનર્જીએ `માછલી-ભાત` (બંગાળી અસ્મિતા) ને હથિયાર બનાવી હિન્દુત્વને બંગાળ વિરોધી ગણાવ્યું હતું. પરંતુ ભાજપે પોતાની રણનીતિ બદલી. અનુરાગ ઠાકુર જેવા નેતાઓએ જાહેરમાં માછલી ખાઈને સંદેશ આપ્યો કે ભાજપનું હિન્દુત્વ બંગાળી પરંપરા અને થાળીને અનુકૂળ છે. `જય શ્રી રામ`ની સાથે `જય મા કાલી`ના નારાએ હિન્દુ મતોને ભાજપ તરફ વાળવામાં મોટી ભૂમિકા ભજવી.
2. મહિલા વોટ બેંકમાં ગાબડું
મમતા બેનર્જીની સૌથી મોટી તાકાત મહિલા મતદારો હતી. ભાજપે આ જ વોટ બેંકમાં ગાબડું પાડવા માટે લક્ષ્મી ભંડાર યોજનાના જવાબમાં દર મહિને ₹3,000 આપવાનું વચન આપ્યું. આ ઉપરાંત, સંદેશખાલી અને આરજી કર હોસ્પિટલ જેવી ઘટનાઓએ મહિલા સુરક્ષાના મુદ્દે મમતા સરકારને ભીંસમાં લીધી. પીડિતોના પરિવારજનોને ટિકિટ આપીને ભાજપે મહિલાઓની સહાનુભૂતિ જીતી લીધી.
3. મતદાર યાદીનું ‘શુદ્ધિકરણ’ (SIR)
ચૂંટણી પહેલા હાથ ધરાયેલા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) માં લગભગ 91 લાખ શંકાસ્પદ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ, આમાંથી મોટી સંખ્યામાં એવા મતો હતા જેને ભાજપ `ગેરકાયદેસર ઘૂસણખોર` ગણાવતું હતું. મુર્શિદાબાદ અને માલદા જેવા TMCના ગઢ ગણાતા જિલ્લાઓમાં મતો ઘટવાને કારણે ભાજપને 45 જેટલી બેઠકો પર સીધો ફાયદો થયો.
4. મમતા પર વ્યક્તિગત હુમલા બંધ અને માઈક્રો-મેનેજમેન્ટ
2021ની ભૂલ સુધારતા પીએમ મોદી અને અમિત શાહે મમતા બેનર્જી પર વ્યક્તિગત કટાક્ષ કરવાને બદલે `સિન્ડિકેટ રાજ` અને ભ્રષ્ટાચાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અમિત શાહે પોતે 15 દિવસ બંગાળમાં પડાવ નાખ્યો અને 80,000 બૂથનું ડેટા એનાલિસિસ કર્યું. યુપી મોડલ મુજબ `પેજ પ્રમુખ` સિસ્ટમ લાગુ કરીને દરેક મતદાર સુધી પહોંચવાની રણનીતિ સફળ રહી.
5. કેન્દ્રીય નેતૃત્વની ફોજ
ભાજપે આ ચૂંટણીમાં પોતાની તમામ તાકાત ઝોંકી દીધી હતી. પીએમ મોદીની 19 રેલીઓ, અમિત શાહની 30 થી વધુ રેલીઓ અને યોગી આદિત્યનાથ જેવા 12 મુખ્યમંત્રીઓએ બંગાળના ખૂણેખૂણામાં પ્રચાર કર્યો. `બંગાળનો મુખ્યમંત્રી બંગાળની માટીનો પુત્ર જ હશે` તેવા આશ્વાસને `બહારના વ્યક્તિ`ના નેરેટિવને ખતમ કરી નાખ્યો.
રાષ્ટ્રીય રાજકારણ પર અસર
બંગાળમાં ભાજપનો વિજય એ ભારતીય રાજકારણની દિશા બદલી નાખનારી ઘટના છે. 83 વર્ષ પછી બંગાળમાં `હિન્દુ રાજનીતિ` નો પુનરોદય થયો છે. આ જીત સાથે ભાજપે `અંગ-બંગ-કલિંગ` (બિહાર, બંગાળ અને ઓડિશા) જીતવાનું તેનું વર્ષો જૂનું સપનું પૂરું કર્યું છે. વિપક્ષનો સૌથી મજબૂત ચહેરો ગણાતા મમતા બેનર્જીની હારથી હવે 2029 ની લોકસભા ચૂંટણી માટે ભાજપનો માર્ગ વધુ મોકળો બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે બંગાળની જનતાની અપેક્ષાઓ પર ભાજપ કેટલી ખરી ઉતરે છે અને `સોનાર બાંગ્લા` ના તેના વચનને કેવી રીતે પૂરું કરે છે.
