ફ્લૅટધારકોએ માંડ્યો છે ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુના વળતર માટેનો દાવો, રુસ્તમજી ગ્રુપે સ્પષ્ટતા કરી છે કે આ પ્રોજેક્ટ સક્ષમ સત્તામંડળો દ્વારા મંજૂર કરાયેલા પ્લાન મુજબ જ બનાવવામાં આવ્યો છે અને તેઓ પણ કાયદાકીય સલાહ લઈ રહ્યા છે.
પ્રભાદેવીના હાઇરાઇઝ ફ્લૅટ્સમાં BMCની તોડફોડ પર બૉમ્બે હાઈ કોર્ટનો સ્ટે
પ્રભાદેવી વિસ્તારમાં આવેલી લક્ઝરી રેસિડેન્શિયલ સોસાયટી રુસ્તમજી ક્રાઉનમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા હાથ ધરાયેલી ગેરકાયદે બાંધકામ તોડવાની કાર્યવાહી પર બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે વચગાળાનો સ્ટે આપ્યો છે. ફ્લૅટધારકોએ BMCની આ કાર્યવાહીની કાયદેસરતા સામે સવાલો ઉઠાવીને કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.
આ પ્રોજેક્ટના ૧૫૧ ફ્લૅટોના ૨૪૦થી વધુ માલિકોએ ડેવલપર રિયલ જેમ બિલ્ડટેક પ્રાઇવેટ લિમિટેડ, મ્યુનિસિપલ કૉર્પોરેશન અને અન્ય લોકો વિરુદ્ધ ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુના નુકસાનીના વળતરની માગણી કરતો દાવો દાખલ કર્યો છે.
રુસ્તમજી ગ્રુપે સ્પષ્ટતા કરી છે કે આ પ્રોજેક્ટ સક્ષમ સત્તામંડળો દ્વારા મંજૂર કરાયેલા પ્લાન મુજબ જ બનાવવામાં આવ્યો છે અને તેઓ પણ કાયદાકીય સલાહ લઈ રહ્યા છે.
જસ્ટિસ સંદીપ મારણેની ખંડપીઠે આ મામલે આગામી સુનાવણી ૧૬ સપ્ટેમ્બરે નિયત કરી છે અને ત્યાં સુધી BMCને કોઈ પણ પ્રકારની આગળની તોડફોડની કાર્યવાહી ન કરવા આદેશ આપ્યો છે.
શું છે સમગ્ર વિવાદ?
રહેવાસીઓ તરફથી રજૂ થયેલા સિનિયર કાઉન્સેલ જનક દ્વારકાદાસે કોર્ટમાં રજૂઆત કરી હતી કે ડેવલપરે પ્લાન અનુસાર ફોયરમાં મર્યાદિત સામાન્ય જગ્યા તેમના એક્સક્લુઝિવ યુઝ માટે આપવાનું વચન આપ્યું હતું.
બીજી તરફ BMCએ એપ્રિલ અને મે મહિનામાં ગેરકાયદે વધારાના બાંધકામની નોટિસો આપી હતી. ત્યાર બાદ ૧૯ ઑગસ્ટે ટાવર A અને Bના રહેવાસીઓને ૨૪ ઑગસ્ટે માપણી અને ફોટોગ્રાફી માટે અધિકારીઓ આવશે એવી જાણ કરવામાં આવી હતી, પરંતુ ૨૪ ઑગસ્ટની વહેલી સવારે BMCની ટીમ આવી પહોંચી હતી અને નિરીક્ષણ કરવાને બદલે કોઈ પણ નોટિસ આપ્યા વિના જ ફોયર એરિયાના દરવાજા અને દીવાલો તોડવાનું શરૂ કરી દીધું હતું.
