Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઝીશાન સિદ્દીકીએ અનિલ પરબ અને મોહિત કમ્બોજનાં નામ લઈને સનસનાટી મચાવી

ઝીશાન સિદ્દીકીએ અનિલ પરબ અને મોહિત કમ્બોજનાં નામ લઈને સનસનાટી મચાવી

Published : 29 January, 2025 12:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પિતાના મર્ડરકેસની ચાર્જશીટમાં ચાર પાનાંનો જવાબ નોંધાવ્યો એમાં કહ્યું કે આ નેતાઓ બાબા સિદ્દીકી સાથે નિયમિત સંપર્કમાં હતા

ઝીશાન સિદ્દીકી

ઝીશાન સિદ્દીકી


બાબા સિદ્દીકીની હત્યાના મામલામાં મુંબઈ પોલીસે સોમવારે કોર્ટમાં ૪૫૦૦ પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાને ચાર પાનાંનો જવાબ નોંધાવ્યો હતો. એમાં પિતા શિવસેનાના વિધાન પરિષદના સભ્ય અનિલ પરબ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા મોહિત કમ્બોજ સાથે નિયમિત સંપર્કમાં રહેતા હોવાનું જણાઈ આવ્યું છે. આથી ગયા વર્ષે ૧૨ ઑક્ટોબરે બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી એ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.




ઝીશાન સિદ્દીકી પિતાની હત્યાની તપાસમાં સ્લમ રીહૅબિલિટેશન ઑથોરિટી (SRA)ના ઍન્ગલને પણ સામેલ કરવા માટે પ્રયાસ કરી રહ્યો છે. તેણે પોલીસને આપેલા ચાર પાનાંના જવાબમાં નોંધાવ્યું છે કે ‘મારા પિતાના મુંબઈના કેટલાક જાણીતા બિલ્ડરો સાથે નજીકના સંબંધ હતા. ઉદ્ધવસેનાના નેતા અનિલ પરબ SRA પ્રોજેક્ટમાં પોતાના બિલ્ડરોને લાવવાનો પ્રયાસ કરતા હતા. બાબા દરરોજ ડાયરી લખતા હતા એમાં આનો ઉલ્લેખ છે. હત્યા થઈ હતી એ સાંજે પાંચથી છ વાગ્યા દરમ્યાન BJPના નેતા મોહિત કમ્બોજ સાથે બાબાએ વૉટ્સઍપ પર મેસેજથી વાત કરી હતી. મોહિત કમ્બોજે એક બિલ્ડર સાથેની અગાઉ વાતચીત થઈ હતી એ વિશે બાબાને મેસેજ કર્યો હતો.’


આરોપ સિદ્ધ કરવા પડશે : અનિલ પરબ


ઉદ્ધવસેનાના વિધાન પરિષદના સભ્ય અનિલ પરબે ઝીશાન સિદ્દીકીએ પોલીસને આપેલા નિવેદન વિશે કહ્યું હતું કે ‘અમે જે SRAની બેઠકમાં ગયા હતા ત્યાં કૃણાલ સરમળકર, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પદાધિકારી પણ હતા. એ સર્વપક્ષીય બેઠક હતી. હું પોલીસની તપાસ માટે તૈયાર છું. તેમને તમામ ઍન્ગલથી તપાસ કરવાની છૂટ છે. આરોપ કરવાથી નહીં ચાલે, આરોપ પુરવાર કરવા પડશે. બાબા સિદ્દીકી સાથે કોના સંબંધ હતા, કયા સંદર્ભમાં વાતચીત થઈ એ તપાસવું જોઈએ.’

ચાર્જશીટમાં મારું નામ નથી : મોહિત કમ્બોજ

ઝીશાન સિદ્દીકીએ પોલીસમાં નોંધાવેલા નિવેદન વિશે BJPના નેતા મોહિત કમ્બોજે ગઈ કાલે કહ્યું હતું કે ‘બાબા સિદ્દીકીના હત્યાકાંડની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે એમાં મારું નામ નથી. ઝીશાનનું કહેવું છે કે મેં બાબા સાથે તેમની હત્યાના દિવસે (૧૨ ઑક્ટોબર, ૨૦૨૪) વાતચીત કરી હતી એ સાચું છે. અમે અઠવાડિયામાં ઓછામાં આછા બે-ચાર વખત રાજકારણ સહિત બીજા મુદ્દાઓ પર વાતચીત કરતા. તેમની હત્યા ચોંકાવનારી છે. પોલીસે આ મામલામાં તમામ પાસા સામે લાવવા જોઈએ. હત્યાકાંડના આરોપીઓને આકરી સજા થવી જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

29 January, 2025 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK