૨૮૬૮ હીરાથી બનેલો ક્રાઉન પહેરાવવામાં આવશે
આજે કિંગ ચાર્લ્સ તૃતીયનો રાજ્યાભિષેક કરવામાં આવશે
આજે કિંગ ચાર્લ્સ તૃતીયનો રાજ્યાભિષેક કરવામાં આવશે. આ મેગા ઇવેન્ટ પર આખી દુનિયાની નજર છે. દુનિયાભરમાંથી અનેક હસ્તીઓ એના સાક્ષી બનશે. સામાન્ય લોકોમાં પણ એને લઈને ખૂબ જ ઍક્સાઇટમેન્ટ જોવા મળી રહ્યું છે. આ પહેલાં ક્વીન એલિઝાબેથનો રાજ્યાભિષેક થયો હતો ત્યારે લોકોની પાસે સ્માર્ટફોન કે ફાસ્ટ ઇન્ટરનેટ નહોતાં એટલે મોટા ભાગના લોકોને બ્રિટનની રૉયલ ફૅમિલીમાં રાજ્યાભિષેક વખતે કઈ વિધિ કરવામાં આવે છે એનો ખ્યાલ નથી. જોકે આ વખતે તેઓ આ રિવાજ જોશે અને એના વિશે જાણી શકશે.
બ્રિટનના નવા રાજા કિંગ ચાર્લ્સનો રાજ્યાભિષેક વેસ્ટમિન્સ્ટર એબીમાં થશે. અહીં એંગ્લિકન ચર્ચના ધાર્મિક ગુરુ કેન્ટરબરીના આર્કબિશપ તેમનો રાજ્યાભિષેક કરાવશે. જેના પછી આર્કબિશપ કિંગ ચાર્લ્સનો પવિત્ર તેલથી અભિષેક કરશે અને એ પછી તેમને આજથી ૭૨૩ વર્ષ જૂના કિંગ એડવર્ડના સિંહાસન પર બેસાડીને આશીર્વાદ આપશે.
ADVERTISEMENT

આ સિંહાસન ખૂબ જ ખાસ છે, એને વર્ષ ૧૩૦૦માં બનાવવામાં આવ્યું હતું. ૧૬૨૬ પછી બ્રિટનમાં જેટલા પણ કિંગ અને ક્વીન થયાં તેમને રાજ્યાભિષેક પછી આ સિંહાસન પર બેસાડવામાં આવ્યાં છે.

કિંગ ચાર્લ્સને એક ખાસ ક્રાઉન પહેરાવવામાં આવશે અને રાજદંડ આપવામાં આવશે. ૧૬૬૧માં ચાર્લ્સ દ્વિતીય માટે ક્રાઉન બનાવવામાં આવ્યો હતો. આ ક્રાઉનમાં અનેક પ્રકારનાં હીરા, સોનું, ચાંદી, માણેક, નીલમ અને અનોખાં રત્ન જડવામાં આવ્યાં હતાં, જેનું વજન બે કિલો છે. જોકે ક્રાઉનનું વજન વધારે હોવાને કારણે ૧૯૩૭માં એક નવો ક્રાઉન બનાવવામાં આવ્યો હતો. આ ક્રાઉન બનાવવા માટે ૨૮૬૮ હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


