ધૂણી રહેલી એક મહિલાએ આસપાસ ઊભેલા લોકો પર હુમલો કરતાં વિવાદ : વિરોધ કરવા જતાં સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાની પોલીસે કરી અટકાયત
દિવ્ય દરબારમાં લોકો ધૂણવા લાગ્યા હતા
સૌરાષ્ટ્રના વડા મથક રાજકોટમાં ચાલી રહેલા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં રવિવારે સ્ટેજ પાસે આવીને કેટલાક લોકો ધૂણતા તેમ જ એક મહિલાએ ધૂણતાં- ધૂણતાં આસપાસમાં ઊભેલા લોકો પર હુમલો કરતાં હોબાળો થયો હતો અને વિવાદ સર્જાયો હતો. કાર્યક્રમમાં લોકો ધૂણતા હોય એવા વિડિયો વાઇરલ થયા હતા જેના કારણે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાને લઈને પ્રશ્નો સર્જાયા હતા. આ મુદ્દે વિરોધ કરવા જતાં સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાની પોલીસે અટકાયત કરી હતી.
સ્ટેજ પરથી ધીરેન્દ્ર શાસ્ત્રી કંઈક બોલી રહ્યા હતા એ દરમ્યાન સ્ટેજની સામે કેટલીક મહિલાઓ, પુરુષો અને બાળક આવીને ધૂણવા માંડ્યાં હતાં. ધૂણતાં-ધૂણતાં કેટલાક લોકો ચીસો પાડતા હતા તો કેટલાક લોકો રડતા હતા. એટલું જ નહીં, કેટલાક જમીન પર આળોટતા હતા. ધૂણતા લોકોના વિડિયો વાઇરલ થયા હતા જેમાં એક મહિલાએ ધૂણતાં-ધૂણતાં સ્ટેજની આસપાસ ઊભેલા લોકો પર હુમલો કર્યો હતો. એક પત્રકાર પર પણ આ મહિલાએ હુમલો કર્યો હતો જેના કારણે હંગામો મચી ગયો હતો. જોકે લોકોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.
ADVERTISEMENT

એક મહિલાએ ધૂણતાં-ધૂણતાં લોકો પર હુમલો કર્યો હતો
ભૂત-પ્રેતના જે ધંધા છે એ ગુજરાતમાં ગેરકાયદે છે : પુરુષોત્તમ પીપળિયા
રાજકોટના સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ મીડિયાને કહ્યું હતું કે ‘આ ભૂત-પ્રેતના જે ધંધા છે એ ગુજરાતના પ્રવર્તમાન કાયદા હેઠળ ગેરકાયદે છે તો શા માટે પોલીસ નથી રોકતી એને? શા માટે પ્રશાસન નથી રોકતું? શા માટે કલેક્ટર તંત્ર સરકારનું ધ્યાન દોરતી નથી? અને આવા ડખાળા થવા દે છે.’
બાબાએ કોઈને ધૂણવા માટે આમંત્રણ આપ્યું નહોતું : મંગેશ દેસાઈ
કથાના આયોજકો પૈકીના મંગેશ દેસાઈએ કહ્યું હતું કે ‘બાબાએ કોઈને ધૂણવા માટે આમંત્રણ આપ્યું નહોતું. બાબાએ એમનો મંત્રોચ્ચાર કર્યો અને કોઈ પ્રેક્ષક ગણમાંથી ધૂણવા મંડે તો એમાં આયોજક કે બાબાએ કોઈને ઇન્જેક્શન આપ્યું નહોતું ધૂણવા માટે.’
