બીસીસીઆઇને ડર છે કે એક વર્ષનો કૂલિંગ-ઑફ પિરિયડ નહીં લાગુ કરીએ તો ઘણા ડોમેસ્ટિક પ્લેયર્સ બીજા દેશમાં રમવા જતા રહેશે
અંબાતી રાયુડુ : તસવીર સૌજન્ય મિડ-ડે ગુજરાતી
આઇપીએલ-૨૦૨૩માં ચેન્નઈએ ટાઇટલ જીતી લીધું એના આગલા દિવસે (૨૮ મેએ) આઇપીએલમાંથી નિવૃત્તિ લેનાર બૅટર અંબાતી રાયુડુએ નિવૃત્તિનો નિર્ણય ફરી પાછો નહીં ખેંચવાનું ચાહકોને ત્યારે વચન આપ્યું હતું, પરંતુ હવે તેને એ નિર્ણય ‘મોંઘો’ સાબિત થઈ રહ્યો છે. તેણે આઇપીએલ છોડીને તરત જ અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (એમએલસી)માં રમવાનો કરાર કર્યો હતો, પણ તે હવે એ સ્પર્ધામાંથી નીકળી રહ્યો છે.
વાત એવી છે કે રાયુડુએ ૧૩ જુલાઈએ (ગુરુવારે) શરૂ થનારી એમએલસીમાં ટેક્સસ સુપર કિંગ્સ વતી રમવા કરાર કર્યો હતો. જોકે બીસીસીઆઇમાં એવી દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે જેમાં એવો નિયમ છે કે જો કોઈ ભારતીય ખેલાડી નિવૃત્તિ લે તો તે એક વર્ષના કૂલિંગ-ઑફ પિરિયડ પછી જ વિદેશી ક્રિકેટ લીગમાં રમી શકે. ગઈ કાલે મુંબઈમાં બીસીસીઆઇની ઍપેક્સ કાઉન્સિલમાં લાવવામાં આવેલી આ દરખાસ્તને સપ્ટેમ્બરમાં એજીએમમાં મંજૂરી અપાશે. બીસીસીઆઇને ડર છે કે જો આ નવો નિયમ નહીં લાવવામાં આવે તો બીસીસીઆઇ સાથેના કૉન્ટ્રૅક્ટ વગરના ડોમેસ્ટિક ખેલાડીઓ નિવૃત્તિ જાહેર કરીને વિદેશી લીગમાં રમવા જતા રહેશે.

