વૅક્સિનના જન્મસ્થળને બનાવાશે મ્યુઝિયમ
વૅક્સિનનું જન્મસ્થળ
લગભગ ૨૨૦ વર્ષ પહેલાં શીતળાની રસી વિકસાવીને ચોક્કસ બીમારી સામે પ્રતિકારક્ષમતા આગોતરા ધોરણે ડોઝ-ઇન્જેક્શન્સ લઈને કેળવવાનો કન્સેપ્ટ બ્રિટનના વિજ્ઞાની એડવર્ડ જેનરે વિશ્વને આપ્યો હતો. એ વખતે ડૉ. એડવર્ડ જેનરે જે સ્થળનો ઉપયોગ વૅક્સિનેશન સેન્ટર તરીકે કર્યો હતો એ સ્થળને મ્યુઝિયમ તરીકે સ્થાપવામાં આવે એવી શક્યતા છે. આટલાં વર્ષોમાં એડવર્ડ જેનરના ઘરને મહાન વૈજ્ઞાનિકની સ્મૃતિરૂપે સન્માનનીય સ્થાન તો મળ્યું હતું, પરંતુ કોરોનાનો રોગચાળો ફેલાયા પછી ફરી એક વખત કોઈ બીમારી માટે વૅક્સિનની જરૂર ઊભી થતાં વિશ્વને વૅક્સિન એટલે શું એ સમજાવનારા એડવર્ડ જેનર યાદ આવ્યા હતા. તેમણે પહેલી વખત વૅક્સિન નામનો પદાર્થ દુનિયાને, સમાજને આપ્યો હતો. તાજેતરમાં ઇંગ્લૅન્ડના ગ્લુસ્ટરશર પ્રાંતના બર્કલે શહેરમાં જ્યાં શીતળાની રસી વિકસાવાઈ કે શોધાઈ હતી અને જે જગ્યાએ લોકોને વૅક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી એ ડૉ. જેનર્સ હાઉસ તરફથી લૉકડાઉન પૂરું થાય ત્યાર સુધીના નિભાવખર્ચ માટે દાન-ફાળો આપવાની અપીલ બહાર પાડવામાં આવી હતી. એ અપીલના જવાબમાં ૪૫,૦૦૦ પાઉન્ડ્સ (લગભગ ૪૫.૫૪ લાખ રૂપિયા) જેટલી રકમ એકઠી થઈ હતી. એ ઘરમાં ડૉ. એડવર્ડ જેનરની સંશોધનની યાત્રા અને પ્રક્રિયા તેમ જ તેમણે પહેલી વખત ૧૭૯૬માં એક માળીના દીકરાને રસી આપી હતી એ બધી ઘટનાઓની યાદગીરી અને ઘટનાક્રમની વિગતો મળે છે. એ દિવસોમાં વૅક્સિન્સને સમાજ અને તબીબી-વિજ્ઞાન જગતની સ્વીકૃતિ-માન્યતા મળવાની મુશ્કેલી હતી એ દિવસોમાં ડૉ. એડવર્ડ જેનરે બગીચાના શેડમાં પણ લોકોને વૅક્સિન્સ આપી હતી. એ શેડ આજે ગ્રીન હાઉસ રૂપે વૃક્ષવેલાથી સભર સ્થિતિમાં જોવા મળે છે. એ બધા સ્મરણીય અને વિદ્યાર્થીઓ-વિજ્ઞાનીઓને માટે આકર્ષક ભાગ જૂન મહિનામાં ફરી ખુલ્લો મુકાય એવી શક્યતા છે.


