૧૫ વર્ષ બાદ શહેરને સ્લમમુક્ત કરવાનો સંકલ્પ સાકાર થયો : હવે ફરી ઝૂંપડીઓનું અતિક્રમણ ન થાય એ માટે ૧૨ અધિકારીઓ શપથ લેશે
ગયા અઠવાડિયે ચંડીગઢની શાહપુર કૉલોનીમાં છેલ્લી ઝૂંપડપટ્ટીને ખાલી કરવામાં આવી હતી.
પંજાબ અને હરિયાણાની સંયુક્ત રાજધાની ચંડીગઢ હવે દેશનું પહેલું શહેર બન્યું છે જ્યાં ઝુગ્ગી અને ઝૂંપડીઓનું અસ્તિત્વ જ નથી રહ્યું. દોઢ દાયકા પહેલાં આ શહેરમાંથી ઝૂંપડીઓ દૂર કરવાનું કૅમ્પેન શરૂ કરવામાં આવ્યું હતું. ગયા અઠવાડિયે ચંડીગઢની શાહપુર કૉલોનીમાં કાર્યવાહી કરીને લગભગ સાડાચાર એકર વિસ્તારમાંથી ગેરકાનૂની કબજો હટાવવામાં આવ્યો હતો. આ જમીનનું અનુમાનિત મૂલ્ય ૨૫૦ કરોડ રૂપિયા જેટલું ગણાય છે. અત્યાર સુધીમાં શહેરમાંથી કુલ ૫૨૦ એકરનો વિસ્તાર ઝૂંપડીઓથી મુક્ત કરવામાં આવ્યો છે. આ જમીનની કિંમત ૨૫૦૦ કરોડ રૂપિયા જેટલી છે. મંગળવારે છેલ્લે શાહપુર કૉલોનીમાં અંતિમ બુઝડોઝર ચાલ્યું હતું અને ૩૦૦થી વધુ ઝૂંપડીઓ દૂર કરવામાં આવી હતી. એ પછી મંગળવાર ચંડીગઢને સ્લમ-ફ્રી જાહેર કરવામાં આવ્યું હતું.
શહેરને સ્લમમુક્ત કરવાનો સંકલ્પ ૨૦૧૦માં લેવામાં આવ્યો હતો. સ્લમ પુનર્વસન યોજના અંતર્ગત ચંડીગઢ હાઉસિંગ બોર્ડે ૧૭,૬૯૬ નાના ફ્લૅટ બનાવીને પાત્ર પરિવારોને એ ઉપલબ્ધ કરાવ્યા હતા. જોકે આ પ્રક્રિયામાં હાઈ કોર્ટમાં કેટલાક કેસ લાંબા સમયથી ચાલી રહ્યા હોવાથી ૧૫ વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
ADVERTISEMENT
હવે ફરી સ્લમ અને અતિક્રમણ ન થાય એ માટે કમિટી
સ્લમ હટાવવાનું કામ વર્ષો ખેંચી કાઢે છે, પણ ધીમે-ધીમે ફરીથી એ ક્યારે ઊભી થઈ જાય છે એની ખબર નથી પડતી. જોકે ચંડીગઢના ડેપ્યુટી કમિશનર નિશાંતકુમાર યાદવે આદેશ આપ્યો છે કે ‘હવે ફરીથી કોઈ પણ પ્રકારનું અતિક્રમણ ન થાય એ માટે ૧૨ અધિકારીઓની ટીમ તૈયાર કરવામાં આવે. દરેક અધિકારીએ ૧૫ દિવસમાં સંકલ્પપત્ર આપવાનો રહેશે કે તેમના ક્ષેત્રમાં કોઈ નવી ઝૂંપડી કે ગેરકાનૂની અતિક્રમણ નથી.’


