મોટા ભાગનો LPG હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવે છે એટલે : યુદ્ધ પહેલાં ૫૫.૭ લાખ સિલિન્ડર બુક થતાં હતાં, હવે ગભરાટને લીધે ૭૫.૭ લાખનું બુકિંગ
ઈરાન યુદ્ધને કારણે દેશમાં ગૅસ-બુકિંગની સંખ્યામાં આશરે ૨૦ લાખનો વધારો થયો છે
વેસ્ટ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાથી વૈશ્વિક ઊર્જાપુરવઠા પર વધતા દબાણ વચ્ચે ભારત સરકારે ગઈ કાલે સતત ત્રીજા દિવસે વિવિધ મંત્રાલયોની સંયુક્ત પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી અને દેશમાં પેટ્રોલ અને ડીઝલની અછત ન હોવાની હૈયાધારણા આપી હતી. જોકે સરકારે જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) ચિંતાનો વિષય બન્યો છે અને ઈરાન યુદ્ધને કારણે દેશમાં ગૅસ-બુકિંગની સંખ્યામાં આશરે ૨૦ લાખનો વધારો થયો છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ મંત્રાલયનાં સંયુક્ત સચિવ (માર્કેટિંગ અને ઑઇલ રિફાઇનરી) સુજાતા શર્માએ જણાવ્યું હતું કે ‘યુદ્ધ પહેલાં દરરોજ સરેરાશ ૫૫.૭ લાખ સિલિન્ડરોનાં બુકિંગ થતાં હતાં. હાલમાં દરરોજ આશરે ૭૫.૭ લાખ ગૅસ-બુકિંગ થઈ રહ્યાં છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે LPG સિલિન્ડરના બુકિંગમાં અચાનક વધારો જોવા મળ્યો છે. લોકોમાં ગભરાટના કારણે આવું થઈ રહ્યું છે.’
પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું હતું કે ‘LPG ચિંતાનો વિષય છે કારણ કે દેશનો મોટા ભાગનો LPG હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવે છે અને એ હાલમાં બંધ છે. જોકે અમારા ૨૫,૦૦૦ LPG વિતરકોમાંથી કોઈ પણ પાસે ગૅસ ખતમ થવાના કોઈ અહેવાલ નથી. ગભરાઈને LPG બુક કરવાની કોઈ જરૂર નથી કારણ કે કોઈ પણ LPG ડીલર પાસે ગૅસ ખતમ થવાના કોઈ અહેવાલ નથી. ૯ માર્ચે જાહેર કરાયેલા કુદરતી ગૅસ ઑર્ડર હેઠળ ઘણાં ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ જ આદેશ મુજબ ઘરેલુ PNG અને CNGનો પુરવઠો કોઈ પણ કાપ વિના ચાલુ રહે છે.’
