પાલઘરનાં કલેક્ટર ઇન્દુ રાણી જાખરે કહ્યું… નોકરી ઊભી કરવાની મુખ્ય પ્રધાનની યોજનાનો ૧૦૦ ટકા ટાર્ગેટ પૂરો કરવામાં આવ્યો
ઇન્દુ રાણી જાખર
પાલઘર જિલ્લાનાં કલેક્ટર ઇન્દુ રાણી જાખરે ગઈ કાલે જાહેર કર્યું હતું કે જિલ્લામાં નોકરી ઊભી કરવાની મુખ્ય પ્રધાનની ૨૦૦૦ કરોડ રૂપિયાની યોજના ૧૦૦ ટકા પૂરી કરવામાં આવી છે. પાલઘર જિલ્લામાં ઇન્ડસ્ટ્રી માટે સારું વાતાવરણ હોવાથી અહીં રોકાણ કરવા માટે ૧૬૧ કંપનીઓએ રાજ્ય સરકાર સાથે ૨૨૫૮ કરોડ રૂપિયાના કરાર કર્યા છે. એમાં ૬૦૦૦થી વધુ લોકોને નોકરી મળશે. પાલઘર જિલ્લામાં ઑન્ટ્રપ્રનર્સની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે વિવિધ વિભાગના અધિકારીઓને કો-ઑર્ડિનેશન કરવાનું અને તેમને રોકાણકારો સરળતાથી તમામ પ્રકારનાં લાઇસન્સ મેળવી શકે એ માટે સિંગલ વિન્ડો સિસ્ટમને પ્રાથમિકતા આપવાનું કહેવામાં આવ્યું છે. પાલઘરમાંથી સ્ટીલ, કેમિકલ સહિતનાં ઉત્પાદનોની મોટા પાયે નિકાસ કરવામાં આવે છે એટલે કોંકણ વિભાગ રાજ્યમાં નિકાસમાં અગ્રસર છે.

