બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર વિસર્જન-પ્રક્રિયા દરમ્યાન ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.
દોઢ દિવસ બાપ્પાની સેવા-પૂજા કર્યા બાદ ગઈ કાલે અંધેરી-ઈસ્ટમાં તેલી ગલીમાં રમેશ મોરે ઉદ્યાનમાં બનાવાયેલા કૃત્રિમ તળાવમાં બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તસવીર : સતેજ શિંદે
ગણેશોત્સવમાં દોઢ દિવસ માટે સ્થાપન કરાયેલા ગણપતિબાપ્પાને ગઈ કાલે શ્રદ્ધાળુઓએ ભાવભીની વિદાય આપી હતી. રાતે ૯ વાગ્યા સુધીમાં મુંબઈમાં કુલ ૨૫,૨૩૧ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા ભાગે પરિવારોએ પોતપોતાનાં ઘરોમાં સ્થાપન કરેલી મૂર્તિઓનો સમાવેશ થાય છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર વિસર્જન-પ્રક્રિયા દરમ્યાન ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.
કુદરતી જળાશયો, ચોપાટી તેમ જ કૃત્રિમ જળાશયો ખાતે વિસર્જન માટે જરૂરી વ્યવસ્થા અને સુરક્ષા-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યાં હતાં. રાતે ૯ વાગ્યા સુધીમાં ઘરમાં સ્થાપિત ૨૪,૫૨૧ જેટલી ગણેશમૂર્તિઓ અને ૧૧૦ સાર્વજનિક મંડળોની મૂર્તિઓનું વિસર્જન થયું હતું. આ ઉપરાંત ૬૦૦ હરતાલિકાની મૂર્તિઓનું પણ વિસર્જન કરવામાં આવતાં કુલ આંકડો ૨૫,૨૩૧ થયો હતો.
