CBSE પૅટર્નને અમલમાં મૂકતી વખતે મહારાષ્ટ્રના ઇતિહાસ, ભૂગોળ અને મરાઠી ભાષાને અભ્યાસક્રમમાં સામેલ કરવાની તકેદારી રાખવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
રાજ્યના એજ્યુકેશન મિનિસ્ટર દાદા ભુસેએ ગઈ કાલે સત્તાવાર જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્રમાં ઍકૅડેમિક યર ૨૦૨૫-’૨૬થી સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના અભ્યાસક્રમ મુજબ ભણાવવામાં આવશે. જોકે તેમણે કહ્યું હતું કે ‘આ CBSEની પૅટર્ન રાજ્યમાં બે તબક્કામાં અમલમાં મૂકવામાં આવશે. આવતા વર્ષથી પહેલા ધોરણમાં CBSE પૅટર્નને અમલમાં મૂકવામાં આવશે. સ્કૂલના ટીચર્સ અને એજ્યુકેશન ઑફિસર્સને એ માટે ટ્રેઇનિંગ પણ આપવામાં આવશે. ત્યાર પછીના વર્ષે બીજા તબક્કામાં બીજાં બધાં ધોરણોમાં CBSE પૅટર્નને અમલમાં મૂકવામાં આવશે. CBSE પૅટર્નને અમલમાં મૂકતી વખતે મહારાષ્ટ્રના ઇતિહાસ, ભૂગોળ અને મરાઠી ભાષાને અભ્યાસક્રમમાં સામેલ કરવાની તકેદારી રાખવામાં આવશે.’
અત્યારે મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન દસમા અને બારમા ધોરણની પરીક્ષા લે છે. જોકે સરકારના આ નિર્ણયનો શરદ પવારની પાર્ટીનાં નેતા અને સંસદસભ્ય સુપ્રિયા સુળેએ વિરોધ કર્યો છે. તેમણે એજ્યુકેશન મિનિસ્ટરને પત્ર લખીને કહ્યું છે કે ‘સરકારનું આ પગલું મરાઠી ભાષા અને સંસ્કૃતિ માટે ઘાતક પુરવાર થશે. મારા મતે વિદ્યાર્થીઓ અને વાલીઓને જુદા-જુદા અભ્યાસક્રમમાંથી પોતાની પસંદગીનો અભ્યાસક્રમ નક્કી કરવાનો વિકલ્પ આપવો જોઈએ.’

