પાકિસ્તાનમાં બસ-ટ્રેન અથડાતાં 19 સીખ શ્રદ્ધાળુઓના જીવ ગયા
ભયાનક ઍક્સિડન્ટ : પાકિસ્તાનમાં લાહોરથી કરાચી સીખ શ્રદ્ધાળુઓને લઈ જતી બસ ફારુકાબાદ સ્ટેશન પાસે શાહ હુસૈન એક્સપ્રેસ સાથે અથડાતા બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તસવીર : એ.એફ.પી.
પાકિસ્તાનમાં શુક્રવારે બપોરે કરાચી પાસે ટ્રેન અને બસના અકસ્માતમાં ૧૯ સીખ શ્રદ્ધાળુનાં મોત થયાં હતાં. સીખ શ્રદ્ધાળુ એક બસમાં લાહોરથી કરાચી જઈ રહ્યા હતા. તેમની બસ શાહ હુસૈન એક્સપ્રેસ સાથે અથડાઈ ગઈ હતી. આ દુર્ઘટના ફારુકાબાદ સ્ટેશન પાસે બની હતી. પાકિસ્તાનની ન્યુઝ વેબસાઇટ ધ ડોન ન્યુઝ અનુસાર ૧૫ શ્રદ્ધાળુઓનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.
રેલવે અધિકારીઓએ કહ્યું કે અકસ્માતનું કારણ ફાટક વિનાનું રેલવે ક્રોસિંગ છે. શાહ હુસૈન એક્સપ્રેસ અહીં ઝડપથી નીકળી રહી હતી. આ સમયે બસના ડ્રાઇવરે પણ ગેટ ક્રોસ કરવાનો પ્રયત્ન કર્યો. ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડા પ્રધાન ઇમરાન ખાને આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી હતી. રેલવે પ્રધાન શેખ રશીદે તપાસના આદેશ આપ્યા છે. રિપોર્ટ પ્રમાણે બધા સીખ શ્રદ્ધાળુ નનકાના સાહિબથી પરત આવી રહ્યા હતા.
ADVERTISEMENT
પાકિસ્તાનમાં ગત વર્ષે ઑક્ટોબરમાં તેજગામ રેલવે દુર્ઘટના થઈ હતી તેમાં ૮૯ લોકોનાં મોત થયાં હતાં ત્યારે ઇમરાન ખાનનો એક જુનો વિડિયો વાઇરલ થયો હતો. આ વિડિયો નવાઝ શરીફના સમયનો હતો, ત્યારે ઇમરાને રેલવે દુર્ઘટના બાદ રેલપ્રધાનના રાજીનામાની માગ કરી હતી.


