ઝીનત અમાન કહે છે કે લગ્ન એક મોટો નિર્ણય છે અને માત્ર થોડા સમયની મુલાકાતોથી કોઈ વ્યક્તિને સંપૂર્ણ રીતે ઓળખી શકાતી નથી...
ઝીનત અમાન
ઝીનત અમાને હાલમાં લિવ-ઇન રિલેશનશિપને લઈને પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેણે યુવાઓને લગ્ન પહેલાં સાથે રહીને એકબીજાને સારી રીતે સમજવાની સલાહ આપી હતી. ઝીનત અમાનનું માનવું હતું કે લગ્ન એક મોટો નિર્ણય છે અને માત્ર થોડા સમયની મુલાકાતોથી કોઈ વ્યક્તિને સંપૂર્ણ રીતે ઓળખી શકાતી નથી. ઝીનતે પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું હતું કે જો બે લોકો લગ્ન કરવા વિશે ગંભીર હોય, તો પહેલાં સાથે રહીને જીવનશૈલી, સ્વભાવ અને વિચારધારાને સમજવી જરૂરી છે.
ઝીનત અમાને આ મુદ્દે સોશ્યલ મીડિયા પર લાંબી પોસ્ટ પણ શૅર કરી હતી અને લખ્યું હતું કે ‘સમાજ ભલે લિવ-ઇન રિલેશનશિપને લઈને અલગ-અલગ મત ધરાવતો હોય, પરંતુ આજના સમયમાં લોકો માટે આ એક પ્રૅક્ટિકલ નિર્ણય બની ગયો છે. સાથે રહેતા લોકો એકબીજાની આદતો, જવાબદારીઓ અને સંબંધોની વાસ્તવિકતાઓને વધુ સારી રીતે સમજી શકે છે. દરેક સંબંધમાં સન્માન, સમજણ અને ઈમાનદારી સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. માત્ર સમાજ શું કહેશે એ વિચારીને કોઈ નિર્ણય લેવો યોગ્ય નથી.’
