બીજેપીના એમએલએ પર તૂટી પડી સેલિબ્રિટીઝ
સ્વરા ભાસ્કર, બીજેપીના એમએલએ સુરેન્દ્ર સિંહ, કૃતિ સૅનન (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
દેશમાં જે રીતે બળાત્કારની ઘટનાઓ વધી રહી છે એને જોતાં ઉત્તર પ્રદેશના બલિયાના બીજેપીના એમએલએ સુરેન્દ્ર સિંહે જે સલાહ આપી છે એની ચારેય બાજુ નિંદા થઈ રહી છે. સુરેન્દ્ર સિંહે કહ્યું હતું કે ‘આવી ઘટનાઓ ન તો તલવાર ન તો શાસનથી અટકી શકે છે, પરંતુ આવી ઘટનાઓને સારા સંસ્કારથી રોકી શકાય છે. તમામ માતા-પિતાએ તેમની દીકરીઓને સારા સંસ્કાર આપવા જોઈએ. સરકાર અને સારા સંસ્કારના મિશ્રણથી જ દેશ સુંદર બની શકે છે.’
દીકરીઓને સારા સંસ્કાર આપવાની બાબતને લઈને સૌકોઈ તે બીજેપી એમએલએની ઝાટકણી કાઢી રહ્યા છે. બીજી તરફ લેબર મિનિસ્ટર શિવકુમાર દહરિયાએ બલરામપુરમાં 14 વર્ષની છોકરી પર થયેલી અમાનવીય ઘટનાને લઈને જણાવ્યું હતું કે હાથરસની સરખામણીએ આ તો ખૂબ નાની બાબત છે. નેતાઓનાં આવા નિવેદનને લઈને બૉલીવુડનો પણ રોષ ફૂટી નીકળ્યો છે.
ADVERTISEMENT
શું છોકરીઓને એમ શીખવાડવામાં આવે કે રેપથી કેવી રીતે બચવું જોઈએ? આ માણસને ભાન છે કે તે શું બોલી રહ્યો છે? આ જ માનસિકતાને બદલવાની જરૂર છે. આ ખૂબ ખરાબ છે. પોતાના દીકરાઓને કેમ સારા સંસ્કાર નથી આપવામાં આવતા?
- કૃતિ સૅનન
હું આ વાતથી સહમત છું કે પરિવાર અગત્યનો છે. પેરન્ટ્સ, તમારા દીકરાઓનો સારી રીતે ઉછેર કરો. આ માણસ જેવું જરા પણ નહીં વિચારતા.
- વીર દાસ
ખૂબ જ શરમજનક નિવેદન છે. સમસ્યા એ છે કે આપણે આવા લોકોની માનસિકતાને કારણે નિરંકુશ અને બળાત્કાર જેવા કલ્ચરની અંદર રહીએ છીએ. આ માણસને બરતરફ કરવા તમારી એકતા દેખાડો. રેપ જેવી ઘટનાઓ પર શું આ જ છે વિચારધારા? કોઈ કાળે એને સ્વીકારવામાં નહીં આવે.
- સ્વરા ભાસ્કર
આ માણસે ભૂતકાળમાં બળાત્કારીનો બચાવ કર્યો હતો અને એવું કહ્યું હતું કે ત્રણ બાળકોની માતાનો રેપ કરવો કેવી રીતે શક્ય છે. હવે આ કહ્યું છે તેણે. માનનીય સ્મૃતિ ઈરાની, યોગી આદિત્યનાથ અને નરેન્દ્ર મોદી મને શંકા છે કે તમે રિસ્પૉન્ડ કરશો. જોકે તમારી સાથે હું આ શૅર કરું છું.
- સોના મોહપાત્રા

