રામ મંદિર વિસ્તારમાં અધધધ ૪૨.૫ ડિગ્રી અને વિક્રોલીમાં ૪૧.૭ ડિગ્રી
ગઈ કાલે બાંદરામાં ગરમીથી બચવા એક વ્યક્તિએ પોતાની બૅકપૅકનો આશરો લીધો હતો. તસવીર : સતેજ શિંદે
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં બે દિવસથી હીટવેવ, આજે પણ ગરમીમાં શેકાવાની તૈયારી રાખવી પડશે
મુંબઈની ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે મુંબઈમાં અલગ-અલગ વિસ્તારોમાં હીટવેવની અસર વર્તાઈ હતી અને મંગળવારે પણ મુંબઈમાં હીટવેવની સ્થિતિ યથાવત્ રહેવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. રવિવારના તાપમાન કરતાં સોમવારે મુંબઈમાં પાંચ ડિગ્રી તાપમાન વધી ગયું હતું જેમાં બપોરે ૩ વાગ્યા સુધી રામ મંદિર અને વિક્રોલી વિસ્તારમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીને પાર કરી ગયું હતું. વિક્રોલીમાં
ADVERTISEMENT
૪૧.૭ અને રામ મંદિરમાં મહત્તમ તાપમાન ૪૨.૫ ડિગ્રી નોંધાયું હતું. પાલઘર, થાણે, રાયગડ અને રત્નાગિરિ સહિત મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આજે પણ તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે.
સોમવારે બપોરે પવનની ગતિ માત્ર ૭.૪ કિલોમીટર પ્રતિ કલાક રહી હતી અને દિવસ દરમ્યાન ભેજનું પ્રમાણ ૧૮થી ૩૪ ટકા વચ્ચે રહ્યું હતું, એના કારણે ગઈ કાલે મુંબઈવાસીઓએ ગરમ અને સૂકી હવાનો અનુભવ કર્યો હતો. હવામાન ખાતાના ડેટા અનુસાર સોમવારે બપોરે ૧.૩૦ વાગ્યે સાંતાક્રુઝનું તાપમાન ૩૮.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે કોલાબામાં ૩૫.૯ ડિગ્રી તાપમાન રહ્યું હતું.
નિષ્ણાતોના મત મુજબ પવનની ઓછી ગતિ અને વાતાવરણમાં ભેજના ઓછા પ્રમાણને લીધે ગરમી વધુ લાગે છે. જો ભેજ વધારે હોય તો પરસેવો વધુ થાય પણ ગરમી સહન કરવાની ક્ષમતા પણ જળવાય, જ્યારે ભેજનું પ્રમાણ ઘટી જાય તો સૂકા પવનને કારણે લૂ લાગે અને ગરમી અસહ્ય બને, એને હીટવેવ કહી શકાય.
મુંબઈના વિવિધ વિસ્તારોમાં સોમવારે નોંધાયેલું મહત્તમ તાપમાન
રામ મંદિર: ૪૨.૫°C
વિક્રોલી: ૪૧.૭°C
વિદ્યાવિહાર: ૩૯.૩°C
દહિસર: ૩૯.૧ °C
ચેમ્બુર: ૩૮.૯ °C
બાંદરા: ૩૭.૯°C
