જૂના જમાનામાં રજવાડાંઓના બાથટબમાં અલગ-અલગ દ્રવ્યો નાખવામાં આવતાં હતાં, જે સૌંદર્ય સાચવવાની કે પછી ઐશ્વર્યનો અનુભવ કરવાની પ્રક્રિયા નહોતી પણ તનની સાથોસાથ મન અને માનસિકતા શુદ્ધ કરવાની રીત હતી
પ્રતીકાત્મક તસવીર
આજે જ્યારે સુગંધી દ્રવ્યો સાથેનાં બૉડી-સોપ અને જેલ માર્કેટમાં મળે છે અને એનો વપરાશ મોટા પ્રમાણમાં થાય છે ત્યારે શાસ્ત્રોક્ત સ્નાનને યાદ કરી, એને રેગ્યુલર બનાવવાની તાતી જરૂર છે. પહેલાંના સમયનાં દૃશ્યો યાદ કરશો તો તમને યાદ આવશે કે રાજારજવાડાં અત્તર, ફૂલ અને અન્ય દ્રવ્યો નાખેલા પાણીથી સ્નાન કરતાં. એ માત્ર શોખની વાત નહોતી, એમાં શાસ્ત્રોક્ત સ્નાનને પ્રાધાન્ય આપવામાં આવતું. શરીરને સ્વચ્છ બનાવવાની સાથોસાથ મન અને માનસિકતામાં શુદ્ધિ લાવવાની જો કોઈ શ્રેષ્ઠ રીત હોય તો એ આ પ્રકારનાં શાસ્ત્રોક્ત સ્નાન છે. આ શાસ્ત્રોક્ત સ્નાન આજે પણ જીવનમાં સામેલ કરી શકાય. કઈ રીતે આ પ્રકારે સ્નાન કરી શકાય એ જાણીએ.
આૅરા શુદ્ધિ માટે સ્નાન
ADVERTISEMENT
શરીરમાં રહેલાં સાત ચક્રો અને ઑરાને શુદ્ધિ આપવા માટે આ સ્નાન શ્રેષ્ઠ છે. આ સ્નાન માટે વધારે કંઈ નથી કરવાનું. સ્નાનના પાણીમાં ફ્રેશ લીંબુ નિચોવી એમાં દરિયાઈ મીઠું નાખી એનાથી સ્નાન કરવાનું. લીંબુમાં નકારાત્મકતા કાઢવાનાં સત્ત્વો ભારોભાર છે. લીંબુનો બેઝિક સ્વભાવ ચીકાશ કાઢવાનો છે એ પણ તમને યાદ હશે તો સાથોસાથ લીંબુ ચમક આપવાનું કામ પણ કરે છે તો દરિયાઈ નિમકમાં પણ આ ત્રણ ક્ષમતાઓ છે. સી-સૉલ્ટ અને ફ્રેશ લાઇમ-ક્રશથી લેવામાં આવેલા સ્નાનની સકારાત્મક અસર તમને પહેલા જ સ્નાનથી દેખાવા લાગશે. આ સ્નાનની શરૂઆત મસ્તકના મધ્યબિંદુથી કરવી જોઈએ. ઑરા શુદ્ધિ માટે કરવામાં આવેલા આ સ્નાનનો બીજો ફાયદો એ છે કે એને લીધે મનમાં રહેલી નકારાત્મકતા પણ દૂર થાય છે.
ધાર્મિક શુદ્ધિ માટે સ્નાન
ઘણી વખત એવું બનતું હોય છે કે ધર્મધ્યાન કરવામાં મન લાગે નહીં કે ધ્યાન જેવી માનસિક શાંતિ માટેની પ્રક્રિયામાં રસ પડે નહીં. એવું બનતું હોય એવા સમયે દૂધ નાખીને એ પાણીથી સ્નાન કરવું જોઈએ. શાસ્ત્રોમાં એનું માપ પણ દર્શાવવામાં આવ્યું છે. વીસ લીટરની એક બકેટ હોય તો એમાં ચાર લીટર દૂધ મિક્સ કરવું જોઈએ. દૂધ ચંદ્રનું કારક છે. દૂધથી કરવામાં આવેલા સ્નાનથી મન શાંત રહે છે તો સાથોસાથ ધર્મની બાબતમાં મનમાં ઊભી થયેલી અવઢવને પણ એ શાંત પાડે છે અને એકાગ્રતા આપવાનું કામ કરે છે. દૂધ સાથે જો ગુલાબજળ પણ ઉમેરવામાં આવે અને એ પાણીથી સ્નાન કરવામાં આવે તો એ સ્નાન નિર્ણયશક્તિ વધારવાની સાથોસાથ વ્યક્તિમાં લોકપ્રિય લીડર બનવાના ગુણોને પણ કેળવે છે. વીકમાં એક વખત આ પ્રકારનું સ્નાન અવશ્ય લેવું જોઈએ.
પ્રેમ માટે શહદ સ્નાન
જો તમે પ્રેમ ઇચ્છતા હો, જો તમે ઇચ્છતા હો કે તમને કોઈ અખૂટ પ્રેમ કરે અને સતત તમારા મોહમાં રહે તો તમારે નિયમિતપણે શહદ એટલે કે મધ-સ્નાન લેવું જોઈએ. શાસ્ત્રોમાં ચીંધ્યા મુજબ વીસ લીટર પાણીમાં સો મિલીલીટર મધ નાખીને સ્નાન કરવું જોઈએ. નિયમિત આટલી માત્રાના હની સાથે સ્નાન કરવું શક્ય નથી પણ જો ક્યારેય હનીથી સ્નાન ન કર્યું હોય તો પહેલી વાર અચૂક આટલી માત્રાથી સ્નાન કરવું જોઈએ અને પછી નિયમિત રીતે થોડું હની સ્નાન માટે વાપરવું જોઈએ. હનીથી કરવામાં આવેલા સ્નાનથી ઐશ્વર્યા પણ આકર્ષાય છે. જ્યોતિષશાસ્ત્રમાં મધને શુક્રનું કારક ગણાવ્યું છે અને શુક્ર પ્રેમ, સુખ-સાહ્યબી અને સૌંદર્ય આપવાનું કામ કરે છે. વીકમાં એક વાર અને એ પણ શુક્રવારના દિવસે જો શહદ સ્નાન કરવામાં આવે તો એ લાભદાયી પુરવાર થઈ શકે છે. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે આ જે બધાં દ્રવ્યો કહેવામાં આવ્યાં છે એ દ્રવ્યોનો ઉપયોગ થયો હોય એવાં બૉડી-વૉશ કે સોપનો ઉપયોગ કરવાથી પરિણામ નહીં મળે. આ દ્રવ્યો કુદરતી ફૉર્મમાં જ વાપરી એનું સ્નાન કરવું જોઈએ.
પારિવારિક શાંતિ માટે નીમ સ્નાન
લીમડો રાહુ અને કેતુ સાથે જોડાયેલો છે અને બહુ ઓછા લોકો જાણે છે કે રાહુ અને કેતુ બે એવા ગ્રહ છે જે સીધેસીધા પાપ-પુણ્ય સાથે સંકળાયેલા છે, જેની અસર આંતરિક સંબંધોમાં સવિશેષ પ્રકારે જોવા મળે છે. લીમડાનાં પાન અને તાજી ડાળી ગરમ પાણીમાં ઉકાળી એ પાણીથી જો સ્નાન કરવામાં આવે તો એનો સીધો લાભ પારિવારિક જીવનમાં જોવા મળે છે અને ફૅમિલીમાં સુખ-શાંતિની સાથોસાથ સંપનું વાતાવરણ સ્થપાય છે. લીમડાનાં પાન જો રોજેરોજ લઈ આવવામાં આવે તો ઉત્તમ, પણ ધારો કે એવું ન થઈ શકતું હોય તો આજે તોડેલાં પાનની આવરદા અડતાલીસ કલાકથી વધારે ગણવી નહીં. પ્રયાસ કરવો કે લીમડાનાં પાનના પાણીથી પરિવારના દરેક સદસ્ય સ્નાન કરે. આ સ્નાન આયુર્વેદમાં પણ અત્યંત લાભદાયી છે અને સ્કિનને લાભકર્તા છે.

