જયા બચ્ચને હાલમાં જાહેરમાં તેમને માટે અપમાનજનક નિવેદન કર્યાં છે એને લીધે બધા છે અપસેટ
જયા બચ્ચન
જયા બચ્ચન અને ફોટોગ્રાફર્સ વચ્ચેના સંબંધ હંમેશાં વિવાદાસ્પદ રહ્યા છે. જોકે જયાએ હાલમાં ફોટોગ્રાફર્સ માટે કરેલાં અપમાનજનક નિવેદનોનો પડઘો આકરો પડ્યો છે. જયાના આ વર્તનને કારણે બધા ફોટોગ્રાફર્સ બહુ અપસેટ છે અને ઘણા ફોટોગ્રાફર્સે તો બચ્ચન-પરિવારનો બહિષ્કાર કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે. જયા બચ્ચને જાહેરમાં ફોટોગ્રાફર્સને ગંદાં કપડાં પહેરનાર તથા મોબાઇલ લઈને પ્રાઇવસી પર હુમલો કરતા ઉંદરડા ગણાવ્યા હતા. હવે જયાના આ નિવેદન સામે ફોટોગ્રાફર્સે નારાજગી વ્યક્ત કરી છે.
જયાના આ નિવેદન સામે નારાજગી વ્યક્ત કરીને જાણીતા ફોટોગ્રાફરે જણાવ્યું હતું કે ‘તેમણે જે કહ્યું એ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમના દોહિત્ર અગસ્ત્યની ફિલ્મ ‘ઇક્કીસ’ રિલીઝ થવાની છે. જો ફોટોગ્રાફર્સ પ્રમોશન કવર કરવા ન આવે તો શું થશે? અમિતાભ દર રવિવારે પોતાના ઘરની બહાર ચાહકોને મળવા આવે છે, મોટાં મીડિયા-હાઉસ કવર જ કરતાં નથી અને અમે જ એને કવર કરીએ છીએ. કોઈનું તેના લુક અથવા કપડાંના આધારે મૂલ્યાંકન કરવું યોગ્ય નથી. જયા બચ્ચન બધા ફોટોગ્રાફર્સને એક જ ચોકઠામાં મૂકે છે એ યોગ્ય ન કહેવાય. હું તો માનું છું કે આટલી સમસ્યા હોય તો ફોટોગ્રાફર્સે તેમના પરિવારનો બહિષ્કાર કરવો જોઈએ. અમારી ગરીબીને લઈને તેમણે આવી વાત કરી. અમે ક્યારેય કોઈ સેલિબ્રિટીનું અપમાન નથી કર્યું. તેઓ જ લોકો સાથે અપમાનજનક વાત કરે છે. જાહેર જનતાને સત્ય દેખાય છે. અમે ખોટા નથી, અમે પણ સમાજનો જ એક હિસ્સો છીએ.’


