NSEL કેસમાં નાના દાવેદારોને તત્કાળ ચુકવણી કરવાનો કોર્ટનો આદેશ
બૉમ્બે હાઈકોર્ટ
વર્ષ ૨૦૧૩માં બહાર આવેલા નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)ના પૅમેન્ટ કટોકટીના કેસમાં ફરી એકવાર લેણદારોનાં નાણાં ચુકવણીની પ્રક્રિયામાં અવરોધ ઊભો થયો છે. નોંધનીય છે કે રોકાણકારોના તારણહાર હોવાનો દાવો કરનારા સંગઠને જ આ અવરોધ ઊભો કર્યો છે.
ઉક્ત કેસમાં ૨થી ૧૦ લાખ રૂપિયા સુધીની લેણી રકમ ધરાવતા દાવેદારોને એસ્ક્રો અકાઉન્ટમાંથી તાત્કાલિક ધોરણે નાણાંની ચુકવણી કરવી એવો આદેશ મુંબઈ વડી અદાલતે સોમવારે સક્ષમ સત્તા (કૉમ્પિટન્ટ ઑથોરિટી)ને આપ્યો હતો. જોકે એનએસઈએલ ઇન્વેસ્ટર્સ ઍક્શન ગ્રુપ (એનઆઇએજી)એ આદેશને સર્વોચ્ચ અદાલતમાં પડકારવાની અપીલ કરવાનો નિર્ણય લીધો હોવાથી ઉક્ત વડી અદાલતે એને બે સપ્તાહનો સમય આપીને આદેશનો અમલ મોકૂફ રાખ્યો છે. આ બાબતે જાણકારોમાં આશ્ચર્ય ફેલાયું છે.
ADVERTISEMENT
એનએસઈએલે અખબારી યાદીમાં જણાવ્યા મુજબ એક્સચેન્જ નાના દાવેદારોને એમની લેણી રકમ ચૂકવવા માટે પહેલેથી જ માગણી કરી રહ્યું છે. તેણે પૅરન્ટ કંપની ૬૩ મૂન્સ ટેક્નૉલૉજીસ પાસેથી લોન લઈને ૨ લાખ રૂપિયા સુધીની રકમના દાવેદારોને ૧૦૦ ટકા તથા ૧૦ લાખ સુધીની રકમના દાવેદારોને ૫૦ ટકા રકમ ચૂકવી પણ દીધી છે. આમ છતાં વેપારીઓનાં સંગઠન તરીકેનો દાવો કરનારા એનઆઇએજી (એનએસઈએલ ઇન્વેસ્ટર્સ ઍક્શન ગ્રુપ), નારા (એનએસઈએલ એગ્રિવ્ડ ઍન્ડ રિકવરી અસોસિયેશન) અને એનઆઇએફ (એનએસઈએલ ઇન્વેસ્ટર્સ ફોરમ) દ્વારા આ પ્રક્રિયામાં સતત અવરોધ ઊભો કરવામાં આવ્યો છે. સોમવારે મુંબઈ વડી અદાલતના ન્યાયમૂર્તિઓ એસ. એસ. શિંદે અને મનીષ પિતળેની બનેલી બેન્ચે એનએસઈએલના દાવેદાર રબીબાઈ મહમ્મદ ઇસ્માઇલની અરજીની સુનાવણી કરી હતી. કેતન શાહે આ આદેશને સર્વોચ્ચ અદાલતમાં પડકારવાનો નિર્ણય લીધો હોવાથી સમગ્ર પ્રક્રિયા ફરી અટકી પડી છે.
આ બાબતે એનએસઈએલે કહ્યું છે કે એનઆઇએજી અને કેતન શાહે અપનાવેલા વલણ પરથી સ્પષ્ટ થાય છે કે એનઆઇએજીએ વગોવાયેલા બ્રોકરોની સાથે સાઠગાંઠ કરીને ન્યાયની પ્રક્રિયાને ખોરવી નાખવાનો પ્રયાસ કર્યો છે, તેમણે તપાસને ગેરમાર્ગે દોરી છે અને નાણાંની ચુકવણીની પ્રક્રિયામાં અવરોધ નાખ્યો છે.


