નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઇ)એ પેટીએમ ફાસ્ટૅગ યુઝર્સને ૧૫ માર્ચ સુધીમાં અન્ય બૅન્ક દ્વારા ઇશ્યુ થયેલા ફાસ્ટૅગ ખરીદવાની સલાહ આપી છે.
૧૫ માર્ચ પછી પેટીએમ યુઝર્સ ફાસ્ટૅગ રીચાર્જ નહીં કરી શકે
નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઇ)એ પેટીએમ ફાસ્ટૅગ યુઝર્સને ૧૫ માર્ચ સુધીમાં અન્ય બૅન્ક દ્વારા ઇશ્યુ થયેલા ફાસ્ટૅગ ખરીદવાની સલાહ આપી છે. મિનિસ્ટ્રી ઑફ રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આનાથી નૅશનલ હાઇવે પર મુસાફરી કરતી વખતે ડબલ ચાર્જ કે પેનલ્ટીથી મુક્તિ મળશે. પેટીએમ પૅમેન્ટ્સ બૅન્ક પરના પ્રતિબંધ વિશે આરબીઆઇએ જાહેર કરેલી ગાઇડલાઇન અનુસાર પેટીએમ ફાસ્ટૅગ યુઝર્સ ૧૫ માર્ચ પછી રીચાર્જ અથવા ટૉપ-અપ કરી શકશે નહીં. જોકે તેઓ નિર્ધારિત તારીખ બાદ ટોલ-ફી માટે વર્તમાન બૅલૅન્સનો ઉપયોગ કરી શકશે. એનએચએઆઇની શાખા ઇન્ડિયન હાઇવેઝ મૅનેજમેન્ટ કંપનીએ પેટીએમ પેમેન્ટ્સ બૅન્કને બાદ કરતાં ૩૨ બૅન્કની યાદી જાહેર કરીને એમાંથી ફાસ્ટૅગ ખરીદવાની સલાહ આપી છે.

