કવિવારનો આજનો ઉઘાડ કરવો છે એક સરસ પંક્તિથી. કોઈ પહેરે છે, કોઈ ઓઢે છે/ આપણી જિસ્મો-જાન છે આ ગઝલ. વાહ! ગઝલને જેણે પોતાનો જાન કહ્યો છે એવા ડૉ. રશીદ મીરની આજે વાત કરવી છે. ડૉ. રશીદ મીર એટલે આપણી ભાષાની ગઝલનું અગ્રપંક્તિમાં લેવાતું નામ. તેમનો જન્મ ખેડા જિલ્લામાં આવેલ ઠાસરા ગામમાં. એસએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓએ બી.એ.ની પદવી પણ મેળવી. સાહિત્યના આ જીવે `ગુજરાતી સાહિત્ય વિષય` પર એમએ પણ કર્યું. ગુજરાતી ગઝલની સૌંદર્ય મીમાંસા શોધનિબંધ માટે તેમને મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય દ્વારા પીએચડીની પદવી અપાઈ. ભાષા અને સાહિત્યને આવતી પેઢી સુધી પહોંચાડવા તેઓએ હાઇસ્કૂલમાં શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી. ગુજરાતી ગઝલને સમર્પિત પત્રિકા `ધબક`ના સ્થાપક સંપાદક એવા ડૉ. રશીદ મીરની કેટલીક રચનાઓ પણ માણીએ.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
12 May, 2026 02:45 IST | Mumbai | Dharmik Parmar