જીવનના છેલ્લા શ્વાસ સુધી કામ કરતો રહેવા માગે છે શાહરુખ ખાન
શાહરુખ ખાન
શાહરુખ ખાન તેની ફિલ્મોની જેમ વાતો પણ લાર્જર ધૅન લાઇફ કરે છે. એક ઇન્ટરવ્યુમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તું શું હંમેશાં ઍક્ટિંગ કરતો રહીશ ત્યારે તેણે અણધાર્યો જવાબ આપ્યો હતો. શાહરુખે સવાલના જવાબરૂપે હકારમાં માથું ધુણાવીને કહ્યું હતું, ‘હા, હું અભિનય કરીશ, જ્યાં સુધી મરી નહીં જાઉં ત્યાં સુધી. મારા જીવનનું સપનું છે કે કોઈ ઍક્શન બોલે અને પછી હું મરી જાઉં અને કટ કહે ત્યારે હું ઊભો ન થાઉં, બસ. તો હા, હું હંમેશાં અભિનય કરવાનું પસંદ કરીશ.’
આ વાતચીત દરમ્યાન શાહરુખ ખાને સ્ટારડમ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘સ્ટારડમ મારા માટે મહત્ત્વનું નથી રહ્યું. હા, હું એનું સન્માન કરું છું. એણે મને પ્રેમ, ઓળખ અને પૈસા અપાવ્યાં છે. મારા પરિવારને આનંદ મળ્યો છે. પણ સ્ટારડમ કોઈ એવી વસ્તુ નથી જેને હું હંમેશ માથે લઈને ફરું. મેં હંમેશાં એક વાત કહી છે. જૂની બાબત છે જે મેં હંમેશાં અનુભવી છે કે સ્ટારડમને હું ટી–શર્ટની જેમ પહેરું છું, સૂટની જેમ નહીં. એ એટલું મહત્ત્વનું નથી.’