અરજદારે કોર્ટને જાણ કરી કે, 23 માર્ચ, 2026 ના રોજ, તેમણે માહિતી અને પ્રસારણ મંત્રાલય અને સૅન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ને વિગતવાર રજૂઆત રજૂ કરી હતી, જેમાં ફિલ્મના ઘણા દ્રશ્યો અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
ધુરંધર : ધ રિવેન્જ ફરી વિવાદમાં
આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ ફરી એક વખત કાનૂની વિવાદમાં ફસાઈ છે. એક સેવારત સૈનિકે ફિલ્મ સામે દિલ્હી હાઈ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી છે. અરજદાર દીપક કુમારે આરોપ લગાવ્યો છે કે ફિલ્મમાં સેના અને સુરક્ષા દળોને લગતી સંવેદનશીલ માહિતી, વ્યૂહરચનાઓ અને ઑપરેશનલ પ્રોટોકોલને એવી રીતે દર્શાવવામાં આવ્યા છે જે રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રની અખંડિતતાને જોખમમાં મૂકી શકે છે. તેમણે દાવો કર્યો હતો કે ફિલ્મમાં કેટલાક દ્રશ્યો સત્તાવાર ગુપ્તતા કાયદાનું ઉલ્લંઘન છે. કેસની સુનાવણી દરમિયાન, દીપક કુમાર કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર થયા હતા. તેમણે કોર્ટમાં રજૂઆત કરી હતી કે સેના અને સુરક્ષા દળો દ્વારા ઉપયોગમાં લેવાતી યુક્તિઓ, ઑપરેશનલ પદ્ધતિઓ અને સંવેદનશીલ સ્થળોને ફિલ્મમાં ‘અત્યંત સ્પષ્ટ રીતે’ દર્શાવવામાં આવ્યા છે. અરજદારે વધુમાં દલીલ કરી હતી કે ભલે ફિલ્મને કાલ્પનિક રીતે દર્શાવવામાં આવી રહી હોય, તો પણ આવા દ્રશ્યો રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ ગણી શકાય અને સુરક્ષા માટે ખતરો ઉભો કરી શકે છે.
સુનાવણી દરમિયાન, દિલ્હી હાઈ કોર્ટે અવલોકન કર્યું કે ફિલ્મ ‘કાલ્પનિક’ અને ‘મનોરંજન’ માટે બનાવવામાં આવી હોવા છતાં, અરજદારની ચિંતાઓને સંપૂર્ણપણે અવગણી શકાય નહીં. કોર્ટે વધુમાં નોંધ્યું કે ફિલ્મોનો પ્રભાવ ફક્ત મનોરંજન પૂરતો મર્યાદિત નથી, અને સમાજ પર તેમના પ્રભાવને યોગ્ય ગંભીરતાથી જોવું જરૂરી છે. સુનાવણી દરમિયાન એક ઉદાહરણ આપતા, ડિવિઝન બૅન્ચે ટિપ્પણી કરી કે જો કોઈ ફિલ્મમાં આત્મહત્યા કરતા પહેલા ઓનલાઈન શોધ કરવા જેવા દ્રશ્યો અને ગ્રાફિક વિગતવાર દર્શાવવામાં આવે છે, તો તે પ્રશ્ન ઉઠાવશે કે શું આવું ચિત્રણ યોગ્ય છે. કોર્ટે કહ્યું, "ફિલ્મોની અસરને નકારી શકાય નહીં. એટલા માટે સૅન્સરશીપ અને માર્ગદર્શિકા જરૂરી છે."
ADVERTISEMENT
મંત્રાલય અને સૅન્સર બોર્ડને નિર્દેશ
અરજદારે કોર્ટને જાણ કરી કે, 23 માર્ચ, 2026 ના રોજ, તેમણે માહિતી અને પ્રસારણ મંત્રાલય અને સૅન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ને વિગતવાર રજૂઆત રજૂ કરી હતી, જેમાં ફિલ્મના ઘણા દ્રશ્યો અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. વધુમાં, તેમણે આ બાબતે સુપ્રીમ કોર્ટનો પણ સંપર્ક કર્યો હતો. દિલ્હી હાઈ કોર્ટે પોતાના આદેશમાં સંબંધિત સક્ષમ અધિકારીને આ બાબતની તપાસ કરવા અને જો જરૂરી લાગે તો સુધારાત્મક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે માહિતી અને પ્રસારણ મંત્રાલય અને CBFCને આ મુદ્દાની ગંભીર તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. વધુમાં, એવી શરત મૂકવામાં આવી હતી કે આ મામલે લેવાયેલા નિર્ણયની જાણ અરજદારને પણ કરવી જોઈએ. જેથી હવે ફિલ્મના દેશમાં OTT રિલીઝ પહેલા તેની સામે શું પગલાં લેવામાં આવશે તે જોવાનું રહેશે.
