પ્રતીક ગાંધી અને અર્શદ વારસીની ફિલ્મ ‘ઘમાસાન’ OTT પ્લૅટફૉર્મ ઝી5 પર રિલીઝ થઈ છે. તિગ્માંશુ ધુલિયાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ બુંદેલખંડના કુખ્યાત ડાકુ દદુઆના જીવન પરથી બની છે.
બુંદેલખંડના કુખ્યાત ડાકુ દદુઆના જીવન પરથી બનેલી ઘમાસાન OTT પર રિલીઝ થઈ
પ્રતીક ગાંધી અને અર્શદ વારસીની ફિલ્મ ‘ઘમાસાન’ OTT પ્લૅટફૉર્મ ઝી5 પર રિલીઝ થઈ છે. તિગ્માંશુ ધુલિયાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ બુંદેલખંડના કુખ્યાત ડાકુ દદુઆના જીવન પરથી બની છે. આ ફિલ્મમાં સત્તા, ભ્રષ્ટાચાર અને કાયદા વચ્ચેની ભયાનક ટક્કરને વાસ્તવિક અંદાજમાં રજૂ કરવામાં આવી છે.
ફિલ્મમાં પ્રતીક ગાંધી નીડર IPS અધિકારી આદિત્ય સિંહની ભૂમિકામાં જોવા મળે છે, જ્યારે અર્શદ વારસી મહારાજ નામના ખૂંખાર ડાકુના પાત્રમાં છે. ‘ઘમાસાન’માં રાજપાલ યાદવ, ઇશિતા દત્તા અને સીમા આઝમી પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે.
ફિલ્મની વાર્તા ઉત્તર પ્રદેશના બુંદેલખંડ વિસ્તારમાં ૨૦૦૬ની આસપાસ સેટ કરવામાં આવી છે. છેલ્લાં ૩૦ વર્ષથી મહારાજ નામનો ડાકુ પહાડો, કોતરો અને જંગલોમાં આતંકનું સામ્રાજ્ય ચલાવી રહ્યો છે. તેની પહોંચ માત્ર ગુનાની દુનિયા સુધી સીમિત નથી, રાજકારણ અને સત્તાનાં ઉચ્ચ સ્તરો સુધી પણ છે. એટલું જ નહીં, સમગ્ર વિસ્તારમાં તેના ભયનો એવો માહોલ છે કે કોઈની પાસે તેનો અસલી ફોટો પણ ઉપલબ્ધ નથી.
આ સંજોગોમાં જ્યારે વિધાનસભામાં વિપક્ષનાં નેતા કુમારી સરોજિની સરકાર સામે ડાકુના વધતા આતંકનો મુદ્દો ઉઠાવે છે ત્યારે સરકાર સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની રચના કરે છે. ત્યાર બાદ લખનઉથી કડક અને ઈમાનદાર IPS અધિકારી આદિત્ય સિંહને બુંદેલખંડ મોકલવામાં આવે છે અને તેમનું એક માત્ર મિશન મહારાજના આતંકનો અંત લાવવાનું છે.
‘ઘમાસાન’ની સૌથી મોટી સરપ્રાઇઝ એ છે કે આખી વાર્તામાં પ્રતીક ગાંધી અને અર્શદ વારસી વચ્ચે એક પણ સીધું સામસામેનું દૃશ્ય નથી. દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયાએ આ ટક્કરને માનસિક યુદ્ધ તરીકે રજૂ કરી છે જેમાં બન્ને પાત્રો બાતમીદારોનાં નેટવર્ક, વ્યૂહરચના અને બુદ્ધિથી એકબીજાને હરાવવાનો પ્રયાસ કરે છે. આ બિલાડી-ઉંદરની રમત જેવી થ્રિલ ફિલ્મને અલગ ઓળખ આપે છે.
