62,600 કરોડ પરત કરવામાં સહારાના સુબ્રતો રૉય નિષ્ફળ : સેબી
સુબ્રતો રૉય
ભારતની મૂડી અને જામીનગીરી બજારના નિયમનકાર સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ સહારા પરિવારના સુબ્રતો રૉય અને તેમની બે કંપનીઓને ૬૨,૬૦૦ કરોડ રૂપિયા (કે ૮.૪ અબજ ડૉલર) જમા કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સેબી અનુસાર આ રકમ સહારા દ્વારા તેના રોકાણકારોને પરત કરવાની બાકી છે.
સેબીએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટના ૨૦૧૨ અને ૨૦૧૫ના અગાઉના આદેશ અનુસાર નાણાં જમા કરાવવામાં સહારા રૉય નિષ્ફળ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે અગાઉના આદેશમાં સહારાને પૂરી રકમ અને વાર્ષિક ૧૫ ટકા વ્યાજસાથે રોકાણકારોને રકમ પરત કરવાનો આદેશ કર્યો હતો.
ADVERTISEMENT
એક સમયે ભારતની ક્રિકેટ ટીમના સ્પોન્સર એવા સહારા અને સેબી વચ્ચે એક દાયકાથી કાયદાકીય લડાઈ ચાલી રહી છે. સહારાની એક બૉન્ડ સ્કીમમાં રોકાણકારોએ અબજોનું રોકાણ કર્યું હતું, પણ સેબીના નિયમ અનુસાર આ બૉન્ડને રજિસ્ટ્રેશન નહીં હોવાથી એને ગેરકાયદે ઠેરવવામાં આવ્યો હતો. સુબ્રતો રૉયની માર્ચ ૨૦૧૪માં ધરપકડ કરવામાં આવી હતી અને તે ૨૦૧૬થી જમીન પર છે.
રૉય કોર્ટના આદેશનો અનાદર કરી રહ્યા છે અને તેમણે કોર્ટના આદેશ અનુસાર રકમ પરત નથી કરી એટલે તેમને ફરી કસ્ટડીમાં લેવા જોઈએ, એવી અરજ સેબીએ નવી અરજીમાં કરી છે. સેબી અનુસાર સહારા દ્વારા માત્ર મૂળ રકમ જ જમા કરવામાં આવી છે. બૉન્ડહોલ્ડરને વ્યાજ અને અન્ય મળી ૬૨,૬૦૦ કરોડ રૂપિયાની રકમ પરત કરવાની બાકી છે. સહારા જૂથ વતી એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે પોતે ૨૨,૦૦૦ કરોડ રૂપિયાની રકમ જમા કરવી દીધી છે અને સેબી દર વખતે ઊંચી રકમ માટે સમગ્ર રકમ પર વ્યાજની ગણતરી કરી રહ્યું છે.

