સાચું શિક્ષણ ત્યારે જ સાકાર થાય જ્યારે જ્ઞાન સાથે ચરિત્રનો સંયોગ થાય: અમિત શાહ

19 January, 2026 04:55 PM IST  |  Changa | Gujarati Mid-day Online Correspondent

CHARUSAT University 15th Convocation: ચારૂસેટના 15મા પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું દિક્ષાંત પ્રવચન; ૪૨ તેજસ્વી વિદ્યાર્થીઓને ૪૫ ગોલ્ડમેડલ અને ૩૮ વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત

ચારૂસેટના 15મા પદવીદાન સમારંભની ઝલક

નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ તેમજ ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા પ્રાપ્ત  `સેન્ટર ઓફ એક્સલન્સ` ગુજરાતની ખ્યાતનામ પ્રાઈવેટ યુનિવર્સિટી ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી – ચારૂસેટ (Charotar University of Science and Technology - CHARUSAT) ચાંગાનો 15મો પદવીદાન સમારંભ (CHARUSAT University 15th Convocation) તાજેતરમાં ૧૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ મંગળવારે ચારૂસેટ કેમ્પસમાં યોજાયો હતો. આ સમારંભના મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી-સહકારમંત્રી અમિત શાહ (Amit Shah)એ દિક્ષાંત પ્રવચન આપ્યું હતું. અધ્યક્ષસ્થાને ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પદવીદાન સમારંભમાં કુલ ૧૦૭૬ વિદ્યાર્થિનીઓ અને ૧૭૧૮ વિદ્યાર્થીઓ સહિત કુલ ૨૭૯૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવ્યા હતા. વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ૪૫ ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં ૨૮ વિદ્યાર્થિનીઓ અને ૧૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. જ્યારે ૧૯ વિદ્યાર્થિનીઓ અને ૧૯ વિદ્યાર્થીઓ સહિત કુલ ૩૮ વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

આ પદવીદાન સમારંભ અંતર્ગત  ચારૂસેટની ફેકલ્ટી ઓફ ફાર્મસીના ૧૭૩, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ૪૨૯, ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સના ૧૮૩, ફેકલ્ટી ઓફ  સાયન્સના ૧૯૭,  ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સમાં કુલ ૬૯૨, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગની વિવિધ વિદ્યાશાખાઓના ૧૧૨૦ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. જેમાં ૨૦૧૮ અંડર ગ્રેજયુએટ, ૭૧૩ પોસ્ટ ગ્રેજયુએટ, ૨૫ પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા અને ૩૮ પી. એચ. ડી. વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો.

ચારૂસેટના રજીસ્ટ્રાર રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલની આગેવાની હેઠળ દીક્ષાંત શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મુખ્ય અતિથિ અમિત શાહ, ચારૂસેટ અને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ, માતૃસંસ્થા, કેળવણી મંડળ તેમજ સી.એચ.આર.એફ.ના માનાર્હ મંત્રી ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ, ચારૂસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ અને સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ, ગવર્નીંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ  તેમજ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો જોડાયા હતા. આ ભવ્ય શોભાયાત્રાનું શામિયાણાના મુખ્ય મંચ ખાતે સમાપન થયું હતું. 

કાર્યક્રમના પ્રારંભમાં પરંપરા મુજબ ઈશ્વર આરાધના કરવામાં આવી હતી. પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલે સ્વાગત પ્રવચન કરતા મહાનુભાવો તથા આમંત્રિત સર્વેને આવકાર્યા હતા અને મુખ્ય મહેમાન અમિત શાહનો પરિચય આપ્યો હતો. આ પછી મહાનુભાવોના હસ્તે  દીપ પ્રાગટ્યવિધિ કરવામાં આવી હતી. અધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલ દ્વારા પદવીદાન સમારોહને ખુલ્લો મુકતા વિવિધ ફેકલ્ટીઓના ડીને વિદ્યાર્થીઓને પદવીઓ આપવા માટે પ્રસ્તુત કર્યા હતા જેનો ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો દ્વારા સ્વીકાર કરાતાં વિદ્યાર્થીઓને પદવીઓ અર્પણ કરવાની મંજૂરી પ્રાપ્ત થઇ હતી. પરંપરાના ભાગરૂપે રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલની આગેવાની હેઠળ પદવીધારક વિદ્યાર્થીઓ તેઓના મૂલ્યો, જ્ઞાન, અને કૌશલ્યો થકી રાષ્ટ્ર અને સશક્ત સમાજના નિર્માણ માટે બહુમૂલ્ય યોગદાન આપે એ હેતુથી `ઓથ સેરેમની` યોજાઈ હતી.

મુખ્ય મહેમાન અમિત શાહે દિક્ષાંત પ્રવચન આપતા જણાવ્યું કે, લક્ષ્ય વિનાનું જીવન અર્થહીન છે અને સાચી સફળતા હંમેશા સ્પષ્ટ લક્ષ્ય સાથે જ પ્રાપ્ત થાય છે. તેમણે વિદ્યાર્થીઓને સ્પષ્ટ તથા મહત્ત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કરવા માટે આહ્વાન કર્યું અને વ્યક્તિગત તથા વ્યાવસાયિક જીવનમાં ઊંચા ધ્યેય સાથે આગળ વધવાની મહત્વતા પર ભાર મૂક્યો. દેશ હાલ પરિવર્તનની એક મહત્વપૂર્ણ અવસ્થામાંથી પસાર થઈ રહ્યો હોવાનું જણાવતાં તેમણે ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝન અંગે વાત કરી અને યુવાનો માટે ઉપલબ્ધ વિશાળ તકો પર પ્રકાશ પાડ્યો. તેમણે સ્નાતક વિદ્યાર્થીઓને આ તકોનો પૂરતો લાભ લેવા, રાષ્ટ્રનિર્માણમાં અર્થપૂર્ણ યોગદાન આપવા અને દૃઢ સંકલ્પ, મૂલ્યો તથા નવીનતાની ભાવના સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા.

આ ઉપરાંત, અમિત શાહે શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે ડિગ્રી તથા પદકો અર્પણ કરીને તેમની શૈક્ષણિક સિદ્ધિઓને સન્માનિત કર્યા.

અંતમાં આભારવિધિ રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલે કરી હતી. ત્યાર બાદ રાષ્ટ્રગાન રજૂ થયું હતું. 

Education amit shah anand nadiad gujarat gujarat news