૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપમાં રોહિત-વિરાટને સાથે રમતા જોવા માગે છે ગૌતમ ગંભીર

23 July, 2024 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનિયમિત ફિટનેસને કારણે સૂર્યકુમાર યાદવને કૅપ્ટન બનાવવાનો કર્યો નિર્ણય ઃ ભવિષ્યમાં શુભમન ગિલ વાઇસ-કૅપ્ટન બની રહેશે એ નક્કી નથી

સાંતાક્રુઝની ગ્રૅન્ડ હયાત હોટેલમાં ગઈ કાલે પત્રકારને સંબોધતા ભારતીય ક્રિકેટના ચીફ સિલેક્ટર અજિત અાગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીર (તસવીર : સતેજ શિંદે)

ગઈ કાલે મુંબઈમાં ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીરે શ્રીલંકા ટૂર માટે રવાના થતાં પહેલાં પ્રેસ-કૉન્ફરન્સમાં ભાગ લીધો હતો. શ્રીલંકા ટૂર માટે સિલેક્ટ થયેલી સ્ક્વૉડ પર ઘણા સવાલો ઊઠ્યા હતા એ તમામ સવાલોના જવાબ તેઓ ચીફ સિલેક્ટર અજિત આગરકર સાથે પોતાની પહેલી પ્રેસ-કૉન્ફરન્સમાં આપતા જોવા મળ્યા હતા. તેમણે રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપીને સૌનું દિલ જીતી લીધું હતું.

સવાલ : હાર્દિક પંડ્યાને સ્થાને સૂર્યકુમાર યાદવને કૅપ્ટન્સી કેમ આપી?

અજિત આગરકર : હાર્દિક પંડ્યા અમારા માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી છે, પણ અમને લાંબા સમય સુધી ટીમ સાથે સતત જોડાઈ રહે તેવા કૅપ્ટનની જરૂર હતી. સૂર્યકુમાર યાદવ કૅપ્ટન્સી ડિઝર્વ કરે છે.

સવાલ : હેડ કોચ તરીકે તમારું વિઝન શું રહેશે?

ગૌતમ ગંભીર : હું મારા ખેલાડીઓને કહેવા માગું છું કે તેમને મારું સંપૂર્ણ સમર્થન છે. મેં હંમેશાં કહ્યું છે કે ખુશખુશાલ ડ્રેસિંગ રૂમ એ વિનિંગ ડ્રેસિંગ રૂમ છે. અમારા ડ્રેસિંગ રૂમને ખુશ રાખવાની જવાબદારી મારી અને મારા સમગ્ર સપોર્ટ સ્ટાફની છે.

સવાલ : જાડેજા-અભિષેક-ઋતુરાજને સ્ક્વૉડમાં સામેલ કેમ ન કર્યા?

અજીત આગરકર : અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા બન્નેને એક જ સિરીઝમાં સાથે લેવાનું અર્થહીન છે. તેને ડ્રૉપ કરવામાં આવ્યો નથી. અમારે આગળ સળંગ ઘણી ટેસ્ટ રમવાની છે અને એ તમામ ટેસ્ટ સિરીઝમાં સામેલ કરવામાં આવે એવી શક્યતા છે. બધા પર અમારી નજર રહેશે.

સવાલ : રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય વિશે શું કહેશો?

ગૌતમ ગંભીર : મને લાગે છે કે આ બન્નેમાં ઘણું ક્રિકેટ બાકી છે. એ પહેલાં ચૅમ્પિયન્સ ટ્રોફી અને ઑસ્ટ્રેલિયન ટૂર માટે બન્ને ખૂબ જ આતુર હશે. આશા છે કે જો તેઓ તેમની ફિટનેસ જાળવી રાખશે તો ૨૦૨૭નો વન-ડે વર્લ્ડ કપ વધુ દૂર નથી. બન્ને વર્લ્ડ ક્લાસ પ્લેયર છે.

સવાલ : શુભમન ગિલને વાઇસ-કૅપ્ટન બનાવવાનું કારણ?

અજિત આગરકર : શુભમન ગિલ ત્રણેય ફૉર્મેટનો ખેલાડી છે. અમે તેને નેતૃત્વનો અનુભવ આપવાનો પ્રયાસ કરવા માગીએ છીએ. જોકે ભવિષ્યમાં તે આ ભૂમિકામાં જોવા મળશે કે નહીં એની કોઈ ખાતરી નથી.

સવાલ : મોહમ્મદ શમીની વાપસી થશે?

ગૌતમ ગંભીર : તેણે બોલિંગ શરૂ કરી દીધી છે. ૧૯ સપ્ટેમ્બરથી બંગલાદેશ સામેની ટેસ્ટ-સિરીઝ શરૂ થવાની છે. મારે NCAના લોકો સાથે વાત કરવી પડશે કે શું તે ફિટ થશે અને એ સમય સુધીમાં ટીમમાં જોડાઈ જશે?

gautam gambhir ajit agarkar rohit sharma virat kohli hardik pandya suryakumar yadav ravindra jadeja abhishek sharma ruturaj gaikwad shubman gill indian cricket team india cricket news sports sports news