18 March, 2026 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા અલી ખાન
સારા અલી ખાન છેલ્લાં કેટલાંક વર્ષોથી નિયમિત રીતે કેદારનાથ મંદિરમાં દર્શન કરે છે. સારા અલી ખાન મુસ્લિમ પિતા સૈફ અલી ખાન અને હિન્દુ માતા અમ્રિતા સિંહની દીકરી હોવા છતાં ઘણી વાર મંદિરોમાં દર્શન કરવા જાય છે. જોકે હવે તેણે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. હાલમાં આવનારી ચાર ધામ યાત્રા પહેલાં બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ નવા નિયમો જાહેર કર્યા છે.
આ નિયમો વિશે વાત કરતાં BKTCના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ જણાવ્યું કે હવે સમિતિ દ્વારા સંચાલિત મંદિરોમાં બિનસનાતની લોકોને સીધી એન્ટ્રી આપવામાં નહીં આવે. જો કોઈ બિનહિન્દુ વ્યક્તિ મંદિરનાં દર્શન કરવા ઇચ્છે તો તેણે પહેલાં ઍફિડેવિટ આપવું પડશે. હેમંત દ્વિવેદીએ ખાસ કરીને સારા અલી ખાનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જો તે સનાતન ધર્મ પ્રત્યે પોતાની શ્રદ્ધા દર્શાવીને ઍફિડેવિટ સબમિટ કરશે તો જ તેને પૂજા કરવાની મંજૂરી આપવામાં આવશે.