ગરીબનગર ખાતે વેસ્ટર્ન રેલવે સ્ટેશન-કૉમ્પ્લેક્સ બનાવશે

20 May, 2026 07:22 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

ડિમોલિશન ઝુંબેશ પૂરી થતાંની સાથે જ અમે સમગ્ર જમીનને ફેન્સ લગાડીને સુરક્ષિત કરીશું અને અમારાં મુસાફરોની સુવિધાઓ તેમ જ ક્ષમતા વધારવાના પ્રોજેક્ટનાં કામ શરૂ કરીશું

ડિમોલિશન પછી કાટમાળમાંથી પોતાના ઘરની વસ્તુઓ શોધતા લોકો. (તસવીર : સૈયદ સમીર અબેદી)

વેસ્ટર્ન રેલવેએ પાંચ દિવસના ડિમોલિશન સમયગાળાના અંતે બાંદરા-ઈસ્ટમાં ગરીબનગર ખાતે આશરે ૫૩૦૦ ચોરસ મીટર જમીનને સેફ કરવાની યોજના બનાવી છે જેથી વધુ કોઈ અતિક્રમણ ન થાય. આ યોજના અંતર્ગત આગામી વર્ષોમાં ઈસ્ટમાં બાંદરા ટર્મિનસ સ્ટેશન માટે વધુ પ્લૅટફૉર્મ સાથે એક સ્ટેશન-કૉમ્પ્લેક્સ બનાવવાનો, મેઇન્ટેનન્સ ફૅસિલિટીને શિફ્ટ કરવાનો, વધારે કૅપેસિટી અને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ બનાવવાનો સમાવેશ થાય છે.

વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર વિનીત અભિષેકે જણાવ્યું હતું કે ‘ડિમોલિશન ઝુંબેશ પૂરી થતાંની સાથે જ અમે સમગ્ર જમીનને ફેન્સ લગાડીને સુરક્ષિત કરીશું અને અમારાં મુસાફરોની સુવિધાઓ તેમ જ ક્ષમતા વધારવાના પ્રોજેક્ટનાં કામ શરૂ કરીશું. વેસ્ટર્ન રેલવે કોર્ટના નિર્દેશો અનુસાર જમીન ખાલી કરવા અને સુરક્ષિત કરવા અંગે ખૂબ જ સ્પષ્ટ છે. હાલમાં બાંદરા ટર્મિનસ પરથી બાવીસ મેલ/એક્સપ્રેસ ટ્રેનો ઊપડે છે અને સમાપ્ત થાય છે. આગામી વર્ષોમાં એમાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવશે. એકંદરે પશ્ચિમ રેલવેના મુંબઈ ક્ષેત્રમાંથી પચાસ નવી શરૂ થતી એક્સપ્રેસ ટ્રેનો ઉમેરવાની યોજના છે. રેલવેની જમીન કાયમ માટે અતિક્રમણવાળી રહી શકતી નથી, પછી ભલે એ ગમે ત્યાં હોય અને ખાસ કરીને સલામતી-સંવેદનશીલ કાર્યકારી વિસ્તારોમાં. રેલવે વહીવટ કાયદા અને કોર્ટના નિર્દેશોના માળખામાં કડક રીતે કાર્ય કરી રહી છે.’

mumbai news mumbai western railway bandra terminus bandra mumbai local train