30 April, 2026 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૃત્યુ પામેલાં સરિતા મિશ્રા અને પુત્રી નૅન્સી
વિરાર-વેસ્ટમાં ન્યુ વિવા કૉલેજ નજીક આવેલી પૂનમ આકાંક્ષા સોસાયટીમાં રહેતાં ૪૫ વર્ષનાં સરિતા મિશ્રા અને તેમની ૨૪ વર્ષની પુત્રી નૅન્સી મિશ્રાની ગઈ કાલે બપોરે ઘરમાં જ હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. આ મામલે બોલિંજ પોલીસે ૨૫ વર્ષના શિવમ ઉપાધ્યાય સામે હત્યાની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર આરોપી શિવમ નૅન્સી સાથે લગ્ન કરવા માગતો હતો. લગ્નના નકારના ગુસ્સામાં તેણે પોતાની પ્રેયસી અને તેની માતાની નિર્દયી રીતે હત્યા કરી હતી. ત્યાર બાદ પોતે પણ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક બોલિંજ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી.
બોલિંજ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે આરોપી શિવમ નૅન્સીના ઘરે ગયો હતો જ્યાં લગ્નની વાતમાં થયેલા વિવાદમાં તેણે નૅન્સી અને તેની માતા પર છરીથી હુમલો કર્યો હતો. હુમલો એટલો ક્રૂર હતો કે બન્નેનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. શરૂઆતમાં આરોપીએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હોવાની પણ માહિતી મળી છે. હુમલા બાદ તેણે પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે અમારી ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે તે ગંભીર હાલતમાં મળ્યો હતો. ત્યાર બાદ તેને નજીકની સંજીવની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ છેલ્લાં બે વર્ષથી શિવમ અને નૅન્સી વચ્ચે પ્રેમસંબંધ હતો. આ સંબંધને લગ્નમાં ફેરવવા માટે આરોપી પોતાના પરિવારજનો સાથે નૅન્સીના ઘરે ગયો હતો, પરંતુ નૅન્સી અને તેની માતાએ આ લગ્ન માટે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ નકારથી ઉશ્કેરાયેલા શિવમે બીજા દિવસે ગુસ્સામાં આવીને આ ગંભીર કૃત્ય કર્યું હોવાની શંકા છે. ઘરમાંથી ચીસો સાંભળીને પાડોશીઓ તરત જ મદદ માટે ગયા હતા અને તેમણે અમને જાણ કરી હતી. આ કેસમાં શિવમની હાલતમાં સુધારો થતાં તેનું સ્ટેટમેન્ટ લઈને આગળની તપાસ કરવામાં આવશે. આ કેસમાં હાલમાં તેની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.’