midday

સિ‌દ્ધિવિનાયક મંદિરમાં ફાટેલાં જીન્સ કે સ્કર્ટ પહેરનારા ભક્તોને પ્રવેશ નહીં મળે

29 January, 2025 09:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવતી કાલથી ડ્રેસ-કોડનો અમલ : અંગપ્રદર્શક, ઉત્તેજક, અસભ્ય, અશોભનીય વસ્ત્રો પહેરીને જશો તો નો એન્ટ્રી
સિ‌દ્ધિવિનાયક મંદિર

સિ‌દ્ધિવિનાયક મંદિર

પ્રભાદેવીમાં આવેલા વિશ્વવિખ્યાત સિદ્ધિવિનાયક મંદિરે ગઈ કાલે દર્શન કરવા માટે આવતા ભક્તો માટે મહત્ત્વનો નિર્ણય લીધો હતો. મંદિરમાં દેશ-વિદેશના લાખો ભક્તો બાપ્પાનાં દર્શન કરવા આવે છે. કેટલાક ભક્તો ફાટેલું જીન્સ કે સ્કર્ટ પહેરીને આવે છે જે મંદિર જેવી પવિત્ર જગ્યાએ શોભતું નથી. આથી ૩૦ જાન્યુઆરીથી આવાં કપડાં પહેરીને કે શરીરનાં અંગ દેખાતાં હોય એવાં કપડાં પહેરીને આવનારા ભક્તોને મંદિરમાં પ્રવેશ નહીં આપવામાં આવે. આથી હવે ગુરુવારથી સિદ્ધિવિનાયક મંદિરમાં માત્ર પારંપરિક વસ્ત્ર પહેરનારા ભક્તોને જ એન્ટ્રી આપવામાં આવશે.

શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટ દ્વારા ગઈ કાલે ૧ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા માઘી ગણેશોત્સવ અને ભક્તો માટેના ડ્રેસ-કોડની માહિતી આપવામાં આવી હતી. ટ્રસ્ટનાં એક્ઝિક્યુટિવ ઑફિસર વીણા મોરેએ કહ્યું હતું કે ‘ભગવાનના મંદિરમાં દર્શન કરતી વખતે ભારતની પરંપરા મુજબ આખું શરીર ઢંકાય એવાં વસ્ત્ર પહેરવામાં આવે છે. જોકે કેટલાક ભક્તો મંદિરની પવિત્રતા ન જળવાય એવાં ફાટેલાં જીન્સ કે સ્કર્ટ પહેરીને દર્શન કરવા આવે છે. આ બાબત ટ્રસ્ટના ધ્યાનમાં આવતાં તેમ જ ભક્તો દ્વારા પણ લાંબા સમયથી ડ્રેસ-કોડ લાગુ કરવાની માગણી કરવામાં આવી રહી હતી. આથી ટ્રસ્ટે આ નિર્ણય લીધો છે. આ બાબતે અમે એક પત્ર તૈયાર કરીને ભક્તોને આપી રહ્યા છીએ તેમ જ મંદિર-પરિસરમાં આવા પત્ર રાખવામાં આવ્યા છે. દર્શન કરવા આવતા ભક્તોને સંકોચ ન થાય એવાં કપડાં પહેરનારા લોકોને મંદિરના પ્રવેશદ્વાર પર જ રોકી દેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. કાપેલાં-ફાટેલાં જીન્સ, સ્કર્ટ તથા અંગપ્રદર્શક, ઉત્તેજક, અસભ્ય, અશોભનીય વસ્ત્રો પહેરીને કોઈએ મંદિરમાં પ્રવેશ ન કરવો.’

siddhivinayak temple mumbai culture news religious places news mumbai news