લોકલ ટ્રેન માટે હવે ઉપવાસનો આશરો

20 August, 2024 08:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધસારાના સમયે દિવાથી લોકલ ટ્રેન ચાલુ કરાવવા સ્થાનિક સોશ્યલ વર્કર પાસે બીજો કોઈ ઉપાય બચ્યો નથી

દિવા-લોકલ ચાલુ કરાવવા આમરણ ઉપવાસ પર બેસી આંદોલન કરી રહેલા અમોલ કેન્દ્રે પરિવારના સભ્યો અને સમર્થકો સાથે

સેન્ટ્રલ રેલવેના કલ્યાણ, કર્જત અને કસારાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) જતી ટ્રેનમાં દિવાથી લોકોને ચડવા જ નથી મળતું અથવા તો માંડ-માંડ કોઈ ટ્રેનમાં ચડી શકે એટલી ટ્રેન પૅક હોય છે. આથી દિવાથી ઍટ લીસ્ટ પીક અવર્સમાં CSMT માટે ટ્રેનો છોડવામાં આવે એવી માગ દિવાવાસીઓ લાંબા સમયથી કરી રહ્યા છે. જોકે સેન્ટ્રલ રેલવે એના પર કોઈ નિર્ણય લેતી ન હોવાથી અમોલ કેન્દ્રે આ સંદર્ભે છેલ્લા ચાર દિવસથી દિવા સ્ટેશન પાસે ઉપવાસ પર બેઠા છે.

છેલ્લાં છ-સાત વર્ષથી દિવા-લોકલ માટે આંદોલન કરી રહેલા સોશ્યલ વર્કર અમોલ કેન્દ્રેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિવાની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. હું લાંબા સમયથી આ માટે રેલવે સામે લડત ચલાવી રહ્યો છું. ૨૦૨૧માં આ માટે મોરચો કાઢ્યો હતો. ૨૦૨રમાં સિગ્નેચર કૅમ્પેન કર્યું હતું. ૨૦૨૩માં પણ મોરચો કાઢ્યો હતો. એ વખતે રેલવેના અધિકારીઓનો જવાબ હતો કે દિવા માટે લોકલ શરૂ કરવી શક્ય નથી, કારણ કે ​એ માટે ક્રૉસિંગ જ નથી. દિવા સ્ટેશન પર ટ્રેન ટર્મિનેટ કરી પાછી વાળી એને CSMT લઈ જવા ક્રૉસિંગ જ નથી. ત્રણ વર્ષથી વધુ સમય ગયો છતાં આ લોકો એના પર કોઈ નિર્ણય જ લેતા નથી. અમે બીજો વિકલ્પ આપ્યો કે પ્લૅટફૉર્મ નંબર પાંચ કે જ્યાં લાંબા અંતરની ગાડીઓ આવે છે ત્યાંથી ગાડી છોડો અથવા ૬-૭-૮ નંબરના પ્લૅટફૉર્મ પરથી કોકણ તરફ જતી કેટલીક જ ટ્રેનો છૂટે છે ત્યાંથી CSMT સીધી ટ્રેન જઈ શકે છે એવી કોઈ વ્યવસ્થા કરો, પણ એ તેઓ કરતા નથી. અમે અહીંના સંસદસભ્ય શ્રીકાંત શિંદેને પણ રજૂઆત કરી હતી. તેમણે આશ્વાસન આપ્યું હતું કે કેન્દ્રમાં વાત કરી તમારી સમસ્યાનો નિવેડો લાવીશું, પણ એવું થતું નથી. હાલ ફરી એક વાર હું આંદોલન કરી રહ્યો છું. આ વખતે પણ એ જ જવાબ મળી રહ્યો છે કે અમારી પાસે ક્રૉસિંગ નથી. હાલ હું ફક્ત પાણી પર છું, આજે ચોથો દિવસ છે. ચર્ચા કરવા RPFના અધિકારીઓ પણ આવવાના છે, કોઈ ઉકેલ આવે તો સારું.’              

લાંબા સમયથી આ માટે લડત ચલાવી રહેલા મુંબઈ રેલવે પ્રવાસી સંઘના પ્રેસિડન્ટ મધુ કોટિયને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં ૧૦ વર્ષમાં કર્જત કે કસારાની એક પણ ટ્રેન વધારવામાં આવી નથી, જ્યારે લોકસંખ્યામાં આ બેલ્ટમાં ખૂબ જ વધારો થયો છે. ટ્રેનમાં એટલી ગિરદી હોય છે કે મોટા ભાગના લોકો દિવાથી ટ્રેનમાં ચડી શકતા નથી અને જે ચડે છે તેમણે પણ જીવના જોખમે લટકીને પ્રવાસ કરવો પડે છે. ઘણા ઍક્સિડન્ટ થયા છે અને લોકોના જીવ પણ ગયા છે. અમારી ડિમાન્ડ છે કે દિવાથી જ શરૂ થાય એવી કેટલીક ટ્રેનો પીક અવર્સમાં ચાલુ કરવામાં આવે જેથી આ સમસ્યાનો કેટલેક અંશે અંત આવે.’

diva junction mumbai local train central railway kalyan karjat indian railways mumbai mumbai news