22 May, 2026 11:14 AM IST | Bhuj | Gujarati Mid-day Correspondent
અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે ભુજ રેલવે-સ્ટેશનથી ભુજ–દિલ્હી એક્સપ્રેસ ટ્રેનને પ્રસ્થાન કરાવશે. આ ટ્રેનને કારણે કચ્છવાસીઓને દિલ્હી જવા માટે ટ્રેન બદલવી નહીં પડે એટલું જ નહીં, દિલ્હી ઉપરાંત રાજસ્થાનનાં મોટાં શહેરોમાં જવા માટે પણ આ ટ્રેન અનુકૂળ બની રહેશે.
કચ્છના લોકો લાંબા સમયથી દિલ્હી જવા માટે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા એ ટ્રેન આજથી શરૂ થવાની છે. આ નવી ટ્રેનથી કચ્છવાસીઓને દેશની રાજધાની જવા માટે સીધી ટ્રેન મળશે. ભુજ રેલવે-સ્ટેશનથી આજે આ ટ્રેન સાંજે સાડાચાર વાગ્યે ઊપડશે અને બીજા દિવસે સાંજે સાડાચાર વાગ્યે દિલ્હી પહોંચશે. આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભીલડી, ધાનેરા, જાલોર, અજમેર, જયપુર, અલવર, રેવાડી સહિતનાં મહત્ત્વનાં સ્ટેશનોએ ઊભી રહેશે.
આ ટ્રેન ૨૩ મેથી દરરોજ સવારે ૧૧.૧૫ વાગ્યે ભુજ રેલવે-સ્ટેશનથી ઊપડશે અને બીજા દિવસે સવારે ૧૧.૪૫ વાગ્યે દિલ્હી પહોંચશે. આ ટ્રેન ૨૪ મેથી સાંજે ૪.૪૦ વાગ્યે દિલ્હીથી ઊપડશે અને બીજા દિવસે સાંજે ૭.૩૫ વાગ્યે ભુજ પહોંચશે. આ ટ્રેનમાં ટૂ-ટિયર ઍર-કન્ડિશન્ડ (AC), થ્રી ટિયર AC, સ્લીપર અને જનરલ કોચ હશે.