28 March, 2025 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેલેવે પ્રોટેક્શન ફોર્સના કૉન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરી
જયપુર-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસમાં ૨૦૨૩ની ૨૩ જુલાઈએ ફાયરિંગ કરી પોતાના સિનિયર અને ત્રણ પૅસેન્જરોની હત્યા કરનાર રેલેવે પ્રોટેક્શન ફોર્સના કૉન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરીની થાણે મેન્ટલ હૉસ્પિટલમાં માનસિક બીમારી (સાઇકૉસિસ)ની સારવાર ચાલી રહી છે અને હાલ તેને અન્ડર-ઑબ્ઝર્વેશન રાખવામાં આવ્યો હોવાનું હૉસ્પિટલે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે. હૉસ્પિટલ ઑથોરિટીએ એમના રિપોર્ટમાં કહ્યું છે કે તેને ૨૦ ફેબ્રુઆરીએ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. એ વખતે તેની વર્તણૂક એબનૉર્મલ હતી અને તે બહુ ઓછું કો-ઑપરેટ કરી રહ્યો હતો. તેની હાલ સારવાર ચાલી રહી છે અને ડૉક્ટરો દ્વારા તેની કેટલીક ચકાસણીઓ કરવાની બાકી છે એટલે હજી એક મહિનો અન્ડર-ઑબ્ઝર્વેશન રાખવો પડશે.
તેની સામે ચાલી રહેલા કેસમાં કોર્ટે થાણે જેલને તેની મેડિકલ કન્ડિશનનો રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો હતો. હૉસ્પિટલે કોર્ટને આપેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે ૨૦ ફેબ્રુઆરીએ તેને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને માનસિક વિકૃતિને કારણે તે દેખરેખ હેઠળ છે.