25 April, 2026 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
અલ્ટ્રા-હાઈ-નેટ-વર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ (UHNWI) એટલે કે અતિ શ્રીમંતોની વસ્તીના મામલે ભારત હવે વિશ્વમાં છઠ્ઠા ક્રમાંકે પહોંચી ગયું છે. આ રિપોર્ટના સૌથી ચોંકાવનારા આંકડા આર્થિક રાજધાની મુંબઈ વિશે આવ્યા છે. નાઇટ ફ્રૅન્ક દ્વારા જાહેર કરાયેલા વેલ્થ રિપોર્ટ 2026 મુજબ ભારતના કુલ અલ્ટ્રા રિચમાંથી ૩૫.૪ ટકા લોકો માત્ર મુંબઈમાં વસવાટ કરે છે જેમાં છેલ્લાં પાંચ વર્ષમાં આ સંખ્યામાં ૬૩ ટકાનો ધરખમ વધારો થયો છે. મુંબઈમાં ૧૯,૮૭૭ અલ્ટ્રા રિચ લોકો રહે છે.
એવું અનુમાન છે કે ૨૦૩૧ના વર્ષ સુધીમાં આ સંખ્યામાં ૨૭ ટકાનો વધારો થશે અને મુંબઈમાં અલ્ટ્રા રિચ લોકોની સંખ્યા ૨૫,૨૧૭ થઈ જશે.
UHNWI એટલે કે એવી વ્યક્તિઓ જેમની નેટવર્થ (સંપત્તિ) ૩૦૦ કરોડ રૂપિયાથી વધુ છે. રિપોર્ટ મુજબ આવતાં વર્ષોમાં ભારતમાં અબજોપતિઓની સંખ્યા ૩૧૩ સુધી પહોંચવાની આશા છે.
અલ્ટ્રા રિચ લોકોને કારણે મુંબઈની રિયલ એસ્ટેટ માર્કેટ પર પણ અસર જોવા મળી રહી છે. ૨૦૨૫માં મુંબઈમાં ૫૦ કરોડ રૂપિયાથી વધુ કિંમતનાં રેસિડેન્શિયલ મકાનોના કુલ ૫૬ સોદા નોંધાયા હતા. લક્ઝરી હાઉસિંગ સેગમેન્ટમાં મુંબઈ ભારતનું સૌથી મોટું બજાર બની રહ્યું છે.