13 February, 2026 08:08 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઝડપથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો
મુંબઈના નવલ ડોકયાર્ડમાં ભીષણ આગ (Mumbai Fire) લાગી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં એક બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગઈ હતી. આ બનાવ ગુરુવારે મોડી રાતનો છે. સાઉથ બૉમ્બેમાં ગેટવે ઓફ ઈન્ડિયા નજીક નેવલ ડોકયાર્ડમાં કચરાનો સ્ટોકયાર્ડ હતો. તે કચરાના વિશાળ ભંડારમાં રાત્રે લગભગ ૧૦.૧૫ વાગ્યે આગ ભભૂકી ઊઠી હતી.
નૌકાદળના એક પ્રવક્તાએ આ હાદસા (Mumbai Fire) વિશે માહિતી શેર કરતાં કહ્યું કે, "નૌકાદળના ફાયર ટેન્ડર દ્વારા આગ પર ઝડપથી કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. તેઓએ આ આગની ઘટના વિશે જાણ થતાં જ તરત આગ ઓલવવાનું ઓપરેશન ચાલુ કર્યું હતું."
અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે કોઈ જાનહાનિ (Mumbai Fire) થઈ નથી અને કોઈ ઈજાના અહેવાલ નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ કચરાનો વિશાળ ભંડાર ગેટવે ઓફ ઇન્ડિયાની સામેની દિશા તરફ છે. એટલે કે આ આઇકોનિક પ્લેસ પરથી પણ આગની લપેટો જોવા મળી હતી. આ ઘટનાને પગલે ભારતીય નૌકાદળના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી નાખી હતી. જોકે, આ આગ કઈ રીતે લાગી તે વિશેની કોઈ સ્પષ્ટતા હજી સુધી કરવામાં આવી નથી.
નૌકાદળના પ્રવક્તા દ્વારા બહાર પાડવામાં આવેલા એક ઓફિશિયલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ગઇકાલે ૧૨મી ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ મોડી રાત્રે મુંબઈના નેવલ ડોકયાર્ડમાં કચરાના ભંડારમાં આગ લાગી (Mumbai Fire) હતી. નૌકાદળના ફાયર ટેન્ડર દ્વારા ઝડપી કાર્યવાહીમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે ".
બુધવારે આવી જ એક આગની ઘટના બની હતી. બુધવારે બપોરે થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (ટીએમટી)ની એક ચાલતી બસમાં આગ લાગી હતી. જોકે બસમાં સવાર મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને આ ઘટનામાં કોઈ ઈજાના અહેવાલ નથી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી)ના પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન સેલ (આરડીએમસી) અનુસાર આ ઘટના બપોરે ૧.૦૬ વાગ્યે નોંધાઈ હતી. રબોડી ટ્રાફિક પોલીસ કાર્યાલયમાંથી આગ લાગવાની માહિતી મળી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
થાણે (પશ્ચિમ)ના રબોડીમાં સાકેત રોડ પર નવા કલવા પૂલની સામે રબોડી ટ્રાફિક પોલીસ ચોકી પાસે આગ લાગી હતી. જ્યારે બસ સિડકો બસ ડેપોથી સાકેત રોડ થઈને આગળ જઈ રહી હતી ત્યારે તેનું સાયલેન્સર વધુ ગરમ થયું હતું, જેના કારણે આગના તણખા ઝર્વા લાગ્યા હતાં. આ ઘટના સમયે બસમાં ૨૦-૨૫ જેટલા મુસાફરો સવાર હતા. ટ્રાફિક પોલીસ અધિકારીઓ, ડ્રાઈવર અને કંડક્ટરની મદદથી તમામ મુસાફરોને બસમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી.
થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કર્મચારીઓ એક પિક-અપ વાહન સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમો (Mumbai Fire) પણ એક જીપ અને એક ફાયર એન્જિન સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.
બસ સ્ટાફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોથી આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી. બાદમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.