01 March, 2026 07:28 AM IST | Mumbai | Sanjeev Shivadekar
પ્રતીકાત્મક તસવીર
પોલીસ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) હવે બગીચાઓ અને ખુલ્લી જગ્યાઓમાં પડ્યાપાથર્યા રહેતા ચરસીઓ, અનિચ્છનીય તત્ત્વો અને ટપોરીઓને ઝડપી લેવા ખાસ અભિયાન ચલાવવાની છે. એમાં બૉડીગાર્ડ્સ બગીચાઓમાં સુરક્ષાની જવાબદારી સંભળાશે. વિધાનસભામાં ગઈ કાલે ઘણા વિધાનસભ્યોએ કહ્યું હતું કે ‘બગીચા પરિવાર સાથે આવતા લોકો માટે બનાવવામાં આવ્યા હોય છે, પણ એમાં ચરસીઓ અને દારૂડિયાઓ અડ્ડો જમાવીને બેસે છે. એથી હવે પોલીસ અને BMC આ અભિયાન ચલાવશે.’
શિવસેનાના વિધાનસભ્ય દિલીપ લાંડેએ આ બાબતે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો અને કહ્યું હતું કે બગીચાઓમાં અસામાજિક તત્ત્વો કબજો જમાવીને બેસી જાય છે અને એમને દૂર કરવા ઑથોરિટી ખાસ કોઈ પગલાં નથી લઈ રહી.
દિલીપ લાંડેના પ્રશ્નનો જવાબ આપતાં પ્રધાન શંભુરાજ દેસાઈએ કહ્યું હતું કે ‘બજેટ-સેશન પછી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને BMCના અધિકારીઓ સાથે બેઠક બોલાવવામાં આવશે. બગીચાઓમાં ગાર્ડ્સ દ્વારા પ્લેન કપડાંમાં સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવશે અને અસામાજિક તત્ત્વોને ઝડપી લેવાશે. આ માટે સ્ટેટ ગવર્નમેન્ટની ગાર્ડ ફોર્સ જેમાં સૈન્યના ભૂતપૂર્વ સૈનિકો છે તેમની મદદ લઈ શકાશે. તે લોકો આવી સિચુએશન્સને હૅન્ડલ કરવા ટ્રેઇન્ડ થયેલા હોય છે.’